-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અસામાજિક તત્વો અને ગુંડાગીર્દી સામે અપનાવેલી નો ટોલરન્સ નીતિનો પડઘો
-
સેલવાસમાં મારબલ ઉદ્યોગોને મારબલ સ્લરી ડમ્પ કરવાના સંદર્ભે નોટિસ આપી કાનૂની પરિણામના બહાને રૂા.5 લાખ રોકડા લેતાં ઝડપાયેલા તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનનું વળતર અપાવવાના બહાને ખેડૂતો સાથે છેતરપીંડી કરવાના આરોપી (1)વિશાલ કનૈયાલાલ શ્રીમાળી (2)અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ અને (3)પૃથ્વીસિંહ રાઠોડ સહિત એક અન્ય ઉત્તમ વજીર પટેલની કરાયેલી પાસા એક્ટ હેઠળ ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 15: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગેરકાયદે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા આરોપીઓ પ્રત્યે રાખવામાં આવેલી ઝીરો ટોલરન્સની નીતિના કારણે પ્રદેશમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ પાસેથી થતી ખંડણીની વસૂલી તથા ગરીબ આદિવાસીઓની જમીનોની હડપ કરવાની પ્રવૃત્તિ અને ગુંડાગીર્દીમાં અંકુશ આવ્યો છે. આજે દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને વિવિધ ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ 4 જેટલા શખ્સોને પાસાના કાયદા હેઠળ જેલમાં ધકેલવાનો આદેશ કરતા ફરી એકવાર અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પ્રાપ્તમાહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ઘણાં ભયંકર ફોજદારી ગુનામાં સામેલ એવા (1)ઉત્તમ વજીર પટેલ (રહે. આમલી મંદિર ફળિયા) (2)એડવોકેટ વિશાલ કનૈયાલાલ શ્રીમાળી (3)અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ (રહે. નરોલી) અને (4)પૃથ્વીસિંહ અશોકસિંહ રાઠોડ (રહે.નરોલી) સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી સેલવાસ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, એડવોકેટ વિશાલ કનૈયાલાલ શ્રીમાળી, અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડ અને પૃથ્વીસિંહ રાઠોડે કેટલાક મારબલ ઉદ્યોગોને મારબલ સ્લરી ડમ્પ કરવાના સંદર્ભે નોટિસ આપી કાનૂની પરિણામના બહાને પૈસાની માંગણી કરી રૂા.5 લાખ રોકડા લેતાં ઝડપાતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ દાનહમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીનનું વળતર અપાવવાના નામે આ ત્રિપૂટીએ લાખોની છેતરપીંડી કરવાની હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.
દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસને ચારેય શખ્સોને પાસામાં ધકેલી દાનહમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનનું વળતર અપાવવાના નામે છેતરપીંડી કરનારા અન્ય ઈસમો સામે પણ લાલ બત્તી ધરી છે અને પોલીસ પ્રશાસન વધુ તપાસ કરશે તો આ પ્રકરણમાં ઘણાં ભેદ ઉકેલાવાની પણ સંભાવના છે.