(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15: દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલી શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ પરિસરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની 20 જેટલી શાળાના 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેઓએ વિજ્ઞાનના વિવિધ વિષયો ઉપર પ્રતિકૃતિઓ પ્રસ્તુત કરી હતી અને પોતાની બાળ વૈજ્ઞાનિકની પ્રતિભા દર્શાવી હતી. એની સાથે વાદ-વિવાદ સ્પર્ધા, મેમરી ગેમ અને પ્રશ્નોતરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વાયુ અને મૃદા પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉપાય સાથે ઊર્જાનું ઉત્પાદન, જળ સંગ્રહ, સોલાર સીસ્ટમ અને કૂડો-કચરો સળગાવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવી, ડેમમાં જળ સ્તર માપવા માટેનું આધુનિક યંત્ર, બ્લુટુથથી સંચાલિત ગાડીના મોડલ સહિત વિવિધ પ્રકારના મોડલ રજૂ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષકો દ્વારા નિરીક્ષણ કર્યા બાદ શ્રેષ્ઠ પ્રતિકૃતિ બનાવી રજૂ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ સિલ્વાસા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણ સહીત કોલેજનાવાઈસ ચેરમેન શ્રી અનંતરાવ ડી.નિકમ, સેક્રેટરી શ્રી એ.નારાયણન, જોઈન્ટ સેક્રેટરી શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. સીમા પિલ્લઈએ દેશના ભાવિ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા કાર્યરત રહેતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ સંપૂર્ણ વિજ્ઞાન પ્રદર્શનનું સુંદર આયોજન કોલેજના આઈક્યુએસી કો-ઓર્ડીનેટર ડો. જાન્હવી આરેકર અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રમુખ શ્રીમતી માધુરી નારખેડેએ સફળતાપૂર્વક કર્યું હતું. ભવિષ્યમાં પણ આવા પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અને શિક્ષણનું આદાન-પ્રદાન કરી શૈક્ષણિક કાર્ય સાથે જોડાઈ રહેવા માટે સંસ્થાના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે પ્રતિયોગિતાની સમાપન વિધિ આટોપી હતી.