(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આજે કલેક્ટરાલયના પટાંગણમાં દમણ-દીવના 62મા મુક્તિ દિવસની ઉજવણી આન બાન અને શાનથી કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવે તિરંગો લહેરાવી સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મુક્તિ બાદ વિવિધ ઔદ્યોગિક ગતિવિધિના કારણે દમણ એક ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાવા લાગી છે. જ્યાં દેશભરના લોકો પ્રદેશમાં રોજગાર મેળવવા માટે આવતા જતા રહેવાથી દમણમાં દરેક પ્રદેશના દરેક ધર્મના લોકો સદ્ભાવથી વસવાટ કરી રહ્યા છે. જેના કારણે દમણ એક મીની ઈન્ડિયા તરીકે પણ વિકસિત થઈ ચુક્યુ છે. જેમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનથી ખુબ તેજી આવી છે. તેમણે પારદર્શકતાથી લાગુ કરેલી વિવિધ કેન્દ્ર પ્રાયોજીત યોજનાઓથી દમણનો પ્રવાસન અને શૈક્ષણિક ક્ષેત્રે પણ અકલ્પનીય વિકાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશમેડિકલ, ટેક્નીકલ, ફેશન અને શિક્ષણનું હબ બને એવું સ્વપ્ન માનનીય પ્રશાસકશ્રીનું છે.
કલેક્ટર ડો. તપસ્યા રાઘવે વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશમાં પ્રશાસન દ્વારા ‘‘રમતાં રમતાં શીખો અભિયાન”ના નામથી એફએએલ મિશનનો આરંભ કરવામાં આવ્યો છે. જેનાથી બાળકોમાં સાક્ષરતા અને અંકજ્ઞાનનું કૌશલ્ય પ્રાપ્ત થઈ શકશે. પ્રદેશમાં શિક્ષણ નિર્દેશાલય દ્વારા પ્રશાસનિક કામો શિક્ષણ, વિદ્યાર્થીઓની હાજરી, પરીક્ષા પ્રબંધન, શિક્ષણ-પ્રશિક્ષણ વગેરેના મેનેજમેન્ટ માટે આઈ.ટી. સોલ્યુશનના રૂપમાં ઈઆરપીનો આરંભ કરાયો છે.
ડો. તપસ્યા રાઘવે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાંકિય વર્ષમાં વેટ અને યુ.ટી. જીએસટી મારફત અત્યાર સુધી રૂા.371.99 કરોડનું રેવન્યુ ટેક્સના રૂપમાં પ્રાપ્ત કરાયું છે. જિલ્લા પ્રશાસન દ્વારા વેટ અને જી.એસ.ટી. વિભાગ, મામલતદાર તથા અન્ય વિભાગોની સરકારી સુવિધાઓમાં પારદર્શકતા લાવવા અને સામાન્ય લોકોને તાત્કાલિક ઈચ્છીત સેવા ઉપલબ્ધ કરાવવા ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. પ્રદેશ પ્રશાસન દ્વારા જમીનોના પુનઃ સર્વેનું કામ પણ શરૂ કરાયું છે. જમીનના પુનઃ સર્વેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે પરિયારી ગામને પસંદ કરવામાં આવ્યું છે. જેનું કાર્ય પૂર્ણ થઈ ચુક્યુ છે તેથી હવે પ્રદેશની જમીનોના પુનઃ સર્વેનું કામ જલ્દીથી પુર્ણથઈ શકશે.
આ પ્રસંગે કલેક્ટર ડો. તપસ્યા રાઘવ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓને કિટ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ તથા આમ નાગરિક ઉપસ્થિત રહ્યા હતા.