પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને રાજીનામું મોકલ્યું : ઉમેદવારોની પસંદગીમાં વિશ્વાસમાં લેવામાં ન આવતા આપેલું રાજીનામું
(વર્તણાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી (આપ)માં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભંગાણ પડયુ છે. લોકસભા બેઠકમાં પ્રભારી ડો.રાજીવ પાંડેએ આજે તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો હતો.
આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત થઈ ચૂકી છે તે પૈકી વલસાડની બેઠક માટે રાજુભાઈ મરચાને ટિકિટ પણ અપાઈ ચૂકી છે પરંતુ ચૂંટણીની આગળની પ્રક્રિયા આગળ વધે તે પહેલાં જિલ્લા સંસદ બેઠકના પ્રભારી વાપીના ડો.રાજીવ પાંડેએ પક્ષ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને રાજીનામું મોકલી આપ્યું છે. આંતરિક સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ડો.રાજીવ પાંડેને વિધાનસભા બેઠકના ઉમેદવારોની પસંદગીના મામલે વિશ્વાસમાં નહી લેવામાં આવ્યાનું કારણ મનાઈ રહ્યું છે. એટલું ચોક્કસ બહાર આવ્યું છે કે આપમાં જુથવાદ ચાલી રહ્યો છે. ડો.રાજીવ પાંડેના રાજીનામા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. જો કે તેઓ આપના સામાન્ય કાર્યકર બની રહેશે તેવો ઉલ્લેખરાજીનામામાં કરવામાં આવ્યો છે. ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીના ડખા બહાર આવવા શરૂ થઈ ચૂક્યા છે.