(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : આજે ભામટી ખાતે સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં 62મા મુક્તિ દિવસની ઉજવણી સાદગી અને શૌર્ય સાથેકરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ધ્વજારોહણ કર્યા બાદ જણાવ્યું હતું કે, 450 વર્ષની ગુલામી બાદ 19મી ડિસેમ્બર, 1961ના રોજ દમણ-દીવ મુક્ત થયું હતું. મુક્તિના 61 વર્ષ દરમિયાન દમણે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. તેમાં પણ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ સમગ્ર પ્રદેશની દિશા અને દશા ધડમૂળથી બદલાઈ છે. તેમણે બાળકોને ઊંચા સપના જોવા અને સપનાને પૂર્ણ કરવા મહેનત ઉપર જોર આપ્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બાળકોને કોઈ કામ નહીં હોય ત્યારે લાઈટ કે પંખો બંધ રાખવા, સ્વચ્છતા જાળવવા જેવી નાની નાની ટેવો પાડવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ભામટીના આગેવાન અને પૂર્વ જિ.પં. સભ્ય શ્રી વાસુભાઈ પટેલ, શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રીમતી પ્રેમિલાબેન ટંડેલ તથા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.