(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: 25મી ડિસેમ્બરે આઈ સોનલ માઁ નો પ્રાગટય દિન છે. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. આ દિવસે વિવિધ સામાજિક-સાંસ્કળતિક આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ, નવસારી જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વસતા ચારણ-ગઢવી સમાજ દ્વારા ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ વલસાડમાં શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે સોનલ બીજની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષિત બનો, સંગઠીત બનો, વ્યસન મુક્ત બનોનો સંદેશ આપનાર ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક આઈશ્રી સોનલમાં નો 25મી ડિસેમ્બરે જન્મોત્સવ છે. ચારણ-ગઢવી સમાજ દર વર્ષેપોષ સુદ બીજને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત 25મી ડિસેમ્બર 2022 રવિવારે વલસાડમાં શ્રી ઓધવ રામ પાર્ટી પ્લોટ, ધરમપુર ચાર રસ્તા ખાતે 36માં પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વની ઉજવણી કરશે. ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ જન્મોત્સવ નિમિતે સવારે 9:30 વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રા, 10 વાગ્યે આરતી મહાપૂજા, 10:30 વાગ્યે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઈનામ વિતરણ, બપોરે 01:00 વાગ્યે મહાપ્રસાદ, બપોરે 2 વાગ્યે રાસગરબા, સાંજે 6 વાગ્યે મહાઆરતી સહિતના સાંસ્કળતિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું છે.
તો, રાત્રે 9 વાગ્યે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીમાં ગુજરાતના જાણીતા ભજન આરાધક જયમંત દવે, જયેશ ચૌહાણ, ભજનીક ગોવિંદભાઈ ગઢવી, લોક સાહિત્યકાર વિજયદાન ગઢવી ભજનની અને સંતવાણીની રમઝટ બોલાવશે.
સોનલ બીજ મહોત્સવમાં ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા તેમજ અન્ય ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરનાર યુવાનો-આગેવાનોનું સન્માન કરવામાં આવશે. દરેક સમાજ સાથે એકતા, ભાઈચારો કાયમ રહે તે માટે ક્ષત્રિય સમાજ, આહીર સમાજ, ભાનુશાલી સમાજ સહિત તમામસમાજના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓનું પણ વિશેષ સન્માન કરી પ્રાસંગિક પ્રવચન પૂરું પડાશે. આઈ સોનલ માઁ ના પ્રાગટય પર્વ નિમિત્તે ઉજવાતી સોનલ બીજમાં વલસાડ, નવસારી, દમણ અને સેલવાસમાં વસતા ચારણ-ગઢવી સમાજના લોકો ઉમળકાભેર જોડાય તે માટે ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.