સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28000 બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા: મધ્યમ વર્ગના લોકોની પીડા ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ
વલસાડ સાયબર ક્રાઈમે ભોગ બનનાર અરજદારોને આજદિન સુધી કુલ રૂ.1,30,00,000 પરત અપાવ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રીના હુકમ અન્વયે વલસાડ ડી.એસ.પી કચેરી ખાતે સાયબર ક્રાઈમ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સંદર્ભે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. જેમાંવલસાડ જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસોમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા જે બાબતે જરૂરી સૂચનો તેમજ માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડા ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા અજાણતામાં આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા તેવા ભોગ બનેલા 28000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનનારના હોલ્ડ થયેલા નાણાં પૈકી સને 2024માં કુલ 53.24 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. સાયબર ક્રાઇમ ફરીયાદના આધારે જેમને પણ એવું લાગતુ હોય કે તેમના એકાઉન્ટ ભુલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઇમમાં તેમની બિનસંડોવણી દર્શાવતા યોગ્ય પુરાવા સાથે આગળ આવે જે એકાઉન્ટ એક પછી એક કેસના આધારે સમીક્ષા કરી ત્યારબાદ અનફ્રીઝ કરવામાં આવશે.
ગુજરાત પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલીસીમાં સુધારો કર્યો છે. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્ક્સ રકમને જ ફ્રીઝ કરાશે. વલસાડ સાયબર ક્રાઈમ દ્વારા ભોગ બનનાર અરજદારનેઆજદિન સુધી કુલ એક કરોડ ત્રીસ લાખ (1,30,00,000/-) રૂપિયા પરત અપાવ્યા છે. કોર્ટ મારફતે વધુ એક કરોડ વીસ લાખ (1,20,00,000) રૂપિયાના ઓર્ડર કરાવ્યો છે જે પરત અપાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.gov.in ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સાયબર ક્રાઈમના પીઆઈ એમ.એન.બુબડિયા અને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-000-