ટોલ ટેક્ષની મુદત પુરી થઈ હોવા છતાં ટોલ વસુલ થઈ રહ્યો છે તેના વિરોધમાં ટ્રાન્સપોર્ટર્સ રણશીંગુ ફુંકશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: હાઈવે ઓથોરીટી દ્વારા દેશભરના હાઈવે ઉપર ટોલની વસુલાત કરવામાં આવી રહી છે તે માટે ચોક્કસ ગાઈડલાઈન જે તે સમયે લાગું કરવામાં આવી હતી તે ગાઈડલાઈનનું હાઈવે ઓથોરીટી છેલ્લા કેટલાક સમયથી સરેઆમ ઉલ્લંઘની કરી રહી હોવાથી અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નિર્ધારિત ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે આવતીકાલ તા.22 ડિસેમ્બરના રોજ વાપી બગવાડા ટોલપ્લાઝા ઉપર ચક્કાજામ કરાવીને હાઈવે ઓથોરીટી સામે ટ્રાન્સપોર્ટર્સો રણશીંગુ ફુંકનાર છે.
હાઈવે ઓથોરીટીની કામગીરી અંગે ચોક્કસ ગાઈડલાઈન જે તે સમયે નિર્ધારિત કરાઈ હતી કે નવિન હાઈવે બનાવાયા હોવાથી 15 વર્ષ સુધી નિર્ધારીત ટોલ જે તે વાહનો પાસેથી ફરજીયાત ઉઘરાવવો, ત્યારબાદ બાકીના આગામી સમયે ફક્ત 25 ટકા ટોલ હાઈવે મેન્ટેનન્સ માટે ચાલુ રાખવો. તે મુજબ દેશભરના ટ્રાન્સપોર્ટર્સ અને ખાનગી વાહનો 15 વર્ષથી ટોલ ભરી રહ્યા હતા, તેની મુદત પણ ક્યારની પુરી થઈ હોવા છતાં ટોલનું ઉઘરાણું ઓથોરીટીએ ચાલુ જ રાખ્યુહોવાથી ભારતભરના ટ્રાન્સપોર્ટ એસોસિએશનો ગુરૂવારે બગવાડા ટોલનાકા ખાતે ઉપસ્થિત રહેશે અને હલ્લાબોલ સાથે ચક્કાજામ કરવાનો કાર્યક્રમ નિર્ધારીત કરાયો છે.