પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં દાનહ જિ.પં. અધ્યક્ષ નિશાબેન ભવરે દાખલા-દલીલો સાથે સાંસદ કલાબેન ડેલકરનો લીધેલો ઉધડો
સાંસદ બન્યા બાદ સક્રિય નહીં રહેલા અને પ્રદેશમાંથી અદૃશ્ય જેવા થયેલા કલાબેન ડેલકર પોતાના પરિવાર ઉપર કોઈ પ્રશાસનિક કાર્યવાહી થાય કે સંભાવના દેખાય ત્યારે અચાનક પ્રગટ થઈ જનતા સાથે ઈમોશનલ કાર્ડ રમતા હોવાનો પણ ભાજપ નેતાએ લગાવેલો આરોપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્વાર્થ માટે ગુમરાહ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરના અધ્યક્ષસ્થાને અને જિ.પં. ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન તથા પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ અને જિ.પં. સભ્ય શ્રીમતી રેખાબેન પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર દ્વારા તાજેતરમાં લોકસભામાં પ્રદેશમાં મૂળભૂત સુવિધા નહીં હોવા અંગે કરેલી રજૂઆતના સંદર્ભમાં ભાજપે દાખલા અને દલીલ સાથે ઝાટકણી કાઢી હતી.
દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરે જણાવ્યું હતું કે, શ્રીમતી કલાબેન ડેલકર જ્યારથી પેટા ચૂંટણી જીતીને સાંસદ બન્યા ત્યારથી ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી જનતાની સમસ્યા જાણવાની કોશિશ કરી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદ 2014થી પ્રદેશમાં વિકાસની ગંગા વહી રહી છે. પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં તો પ્રદેશે ઐતિહાસિક પ્રગતિ કરી છે. સેલવાસ શહેરનું સ્માર્ટ સીટીમાં રૂપાંતર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ગામડાં, ગરીબો, ખેડૂતો, મજૂરો અને આદિવાસી સહિત દરેકના ઉદ્ધાર માટે મહત્વની તમામ યોજનાઓનું અસરકારક રીતે અમલીકરણ થઈ રહ્યું છે. ખાસ કરીને દાદરા નગર હવેલી જિલ્લો આદિવાસી બહુમતિવાળો હોવાથી અહીં સાંસદની બેઠક પણ આદિવાસી સમાજ માટે આરક્ષિત છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે આદિવાસી સમાજ માટે પ્રદેશની મુક્તિ બાદ પહેલી વખત આદિવાસીઓના કલ્યાણને સ્પર્શતા વિકાસ કામો શરૂ થયા છે.
શ્રીમતી નિશાબેન ભવરે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ માટે એકલવ્ય સ્કૂલ, ગીર ગાય યોજના, મફત આવાસ યોજના, સૈનિક સ્કૂલ, ગરીબ કલ્યાણ યોજના સહિત જિલ્લાના દરેક ગામમાં આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરાઈ છે. જિલ્લાના પ્રત્યેક ગામોમાં ખુબ જ અસરકારક રીતે પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નમો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના સહયોગથી વિલેજ એડોપ્શન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને પ્રશ્ન પૂછતાં જણાવ્યું છે કે, આપ હંમેશા અદૃશ્ય રહો છો અને આપના પરિવાર ઉપર કોઈ પ્રશાસનિક કાર્યવાહી કરવામાં આવે અથવા સંભાવના દેખાય ત્યારે અચાનક પ્રગટ થઈ જનતા સાથે ઈમોશનલ કાર્ડરમવા માટે આવી જાવ છો. આપ પરિવારવાદની રાજનીતિમાં વિશ્વાસ કરો છો જેથી આપને પહેલાં પોતાનો પરિવાર દેખાય છે, જ્યારે ભાજપમાં હંમેશા ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ની સાથે પ્રથમ દેશ અને પ્રદેશ હિતમાં કામ કરવામાં આવે છે.
જિ.પં. અધ્યક્ષ શ્રીમતી નિશાબેન ભવરે સ્વ. મોહનભાઈ ડેલકરના 20 વર્ષના સાંસદ કાળનો પણ હિસાબ-કિતાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, તેમણે આદિવાસીઓને હક્ક અપાવવા માટે શું કર્યું હતું? તેમણે ફક્ત માફિયાગીરી, હપ્તા વસૂલી, ખંડણીખોરી અને વસૂલીના શાસનને ઉત્તેજન આપ્યું હતું. શ્રીમતી નિશાબેન ભવરે જણાવ્યું હતું કે, પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ જ દાદરા નગર હવેલીના ઉદ્યોગોમાં સલામતિ અને સુરક્ષાનું વાતાવરણ ઉભું થયું છે. દાદાગીરી અને માફિયાગીરીથી પ્રદેશ મુક્ત બન્યો છે. ભ્રષ્ટાચારની ડાળીઓ ઉપર ઉછરેલા લોકો લોકસભામાં ઉભા રહીને પ્રદેશની બુરાઈ કરવાની કરેલી ચેષ્ટા સામે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની જાહેરમાં રેવડી દાણાદાણ પણ કરી હતી.
શ્રીમતી નિશાબેન ભવરે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીનો આદિવાસી સમાજ જાણે છે કે, એક જ પરિવારનો કેટલો વિકાસ થયો છે, અને પરિવારવાદના કારણે આદિવાસી સમાજને કેટલું નુકસાન પહોંચ્યું છે.પ્રદેશમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ભાવનાત્મક કાર્ડ રમી જનતાને ગેરમાર્ગે દોરવા ઉપરાંત પોતાના અંગત હિતોના રક્ષણ માટે સંસદમાં જુઠ્ઠુ બોલી રહ્યા હોવાનો દાવો પણ શ્રીમતી નિશાબેન ભવરે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું અને મારા જિલ્લા પંચાયતના સાથીઓ તથા પ્રદેશ ભાજપ સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના આવા બાલિશ નિવેદનોને બર્દાસ્ત નહીં કરશે અને ભવિષ્યમાં શ્રીમતી કલાબેન ડેલકર સામે જન આંદોલન છેડવાની પણ ચિમકી આપી છે.