(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશાનિર્દેશમાં આરોગ્ય કમિશ્નરની સૂચનાથી પ્રદેશના ત્રણેય જિલ્લાઓની સરકારી હોસ્પિટલોમાં કોવિડ-19ના રોકથામ હેતુ મોકડ્રિલ યોજવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં ફરી પાછો કોરોનાનો રોગચાળો પ્રચંડતાથી પ્રસરી હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તે આપણા દેશમાં અને પ્રદેશમાં પગપેસારો નહીં કરે તે માટેના આગોતરા પગલાંના હેતુથી વિવિધ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સલાહકાર ડો.વી.કે.દાસે જણાવ્યું હતું કે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, ખાનવેલની સબ જિલ્લા હોસ્પિટલ,દમણ જિલ્લાની મરવડ હોસ્પિટલ અને દીવની સરકારી હોસ્પિટલોમાં કોવિડ-19ની રોકથામની પૂર્વ તૈયારીઓ માટે એક મોકડ્રિલનું કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલમાં કોવિડ-19ના ફેલાવાને લઈ સુવિધાઓ અને તૈયારી કેવી હોવી જોઈએ તે મુજબ હોસ્પિટલમાં ઉપસ્થિત કર્મચારીઓને કોરોનાગ્રસ્ત દર્દીઓનો તાત્કાલિક ઈલાજ કેવી રીતે કરવો, એમ્બ્યુલન્સમાં કેવી સાવધાની રાખવી, પીપીઈ કીટ પહેરીને દર્દીની દેખભાળ કેવી રીતે કરવી, કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર માટે અલગથી પૂર્ણ રીતે સમર્પિત જગ્યા જ્યાં દરેક પ્રકારની દવા અને સ્ટાફ ઉપલબ્ધ રહે અને જરૂરિયાત સમયે દર્દીની મદદમાં આવે.
ડો. દાસે વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, પ્રશાસન અને આરોગ્ય વિભાગ દરેક સમયે પરિસ્થિતિ મુજબ પહોંચી વળવા માટે પૂરી રીતે તૈયાર છે. જો કોઈને પણ કોરોનાના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈ તપાસ કરાવે. વિદેશયાત્રા જરૂરી નહીં હોય તો એને ટાળવું અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક ફરજીયાત પહેરવા તથા દરેક પ્રકારની સાવધાની રાખવામાં આવે. હાથ, મોઢું, વ્યવસ્થિત સાબુ અથવા શેમ્પુથી ધોવા અને સ્વચ્છતા રાખવી અને આપણે દરેકે સતર્ક રહેવાની જરૂરત છે. પ્રશાસન અને આરોગ્ય વિભાગ તમામ પરિસ્થિતિઓ ઉપર બારિકાઈથી નજર રાખી રહી છે અને કોરોનાસામે સંપૂર્ણ રીતે લડવાની તૈયારી અંતર્ગત આ મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગ અને અન્ય વિવિધ વિભાગના કર્મચારીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.