સવારે 10:00 વાગ્યે બારિયાવાડથી ‘આપણાં આંગણામાં પંચાયત’ કાર્યક્રમનો થનારો આરંભઃ સાંજે બોરિયા તળાવ ખાતેપૂર્ણાહૂતિ
લોકોને પોતાના ઘરઆંગણામાં રેસીડન્ટ, ડેથ અને બર્થ તથા ઈનકમ સર્ટીફિકેટ ઈશ્યૂ કરાશેઃ વોર્ડની સમસ્યાથી પણ પંચાયતની ટીમ રૂબરૂ થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આવતી કાલ તા.24મી ડિસેમ્બરના રોજ સુશાસન સપ્તાહ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
‘પંચાયત આપણાં આંગણામાં’ કાર્યક્રમ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત આવતી કાલે લોકોના આંગણામાં પહોંચી સ્થળ ઉપર જ જરૂરિયાતમંદોને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ રેસીડન્ટ સર્ટીફિકેટ, ડેથ અને બર્થ સર્ટીફિકેટ, ઈનકમ સર્ટીફિકેટ ઈશ્યૂ કરવામાં આવશે. તદ્ઉપરાંત ગામના વોર્ડની સમસ્યાથી પણ પંચાયતની ટીમ માહિતગાર થશે.
આવતી કાલે સવારે 10:00 વાગ્યે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતેથી ‘આપણાં આંગણે દમણવાડા પંચાયત’ અભિયાનનો આરંભ થશે. ત્યારબાદ નવા જમ્પોર થઈ ઢોલરથી ભાઠૈયા, ભામટી, તળાવ ફળિયા, પલહિત અને બોરિયા તળાવ ખાતે પૂર્ણાહૂતિ કરાશે.