(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અનુસાર સુશાસન સપ્તાહ અંતર્ગત ગલોન્ડાપંચાયત ઘરની સામે ‘પ્રશાસન ગામડાં તરફ’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર કિલવણી, ગલોન્ડા અને રાંધા પંચાયતના લોકો પણ જોડાયા હતા. શિબિરનું ઉદ્ઘાટન મામલતદાર શ્રી તીરથરામ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મામલતદાર વિભાગ, સર્વે અને બંદોબસ્ત વિભાગ, જમીન સંપાદન, વિભાગ, જમીન સુધારણાં વિભાગ, કોષ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, શ્રમ વિભાગ, ચૂંટણી વિભાગ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ટપાલ વિભાગ, કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, બેંક ઓફ બરોડા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, સડક પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ અને આધારકાર્ડ વિભાગ દ્વારા વિવાદિત કેસોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિવિધ પ્રશાસનિક સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 2500 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાંથી 1675 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લા પંચાયતના અધિકારી શ્રી મિતેશ પાઠક, મામલતદાર શ્રી તીરથરામ શર્મા તથા કિલવણી, ગલોન્ડા, રાંધા ગામના સરપંચો, સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.