અધિકારીઓ સાથે પણ કરેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિને લક્ષદ્વીપ પહોંચી સુશાસન દિવસની ઉજવણીને શ્રમેવ જયતેના સિદ્ધાંત સાથે સાર્થક કરી હતી. તેમણે કોચી બંદરથી લક્ષદ્વીપ આવતા મુસાફરોને પડતીતકલીફની પ્રત્યક્ષ જાણકારી માટે કોચી બંદર ઉપર જહાજ સાથે વ્હાર્ફ(ધક્કા)ની પણ મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોચી બંદરના ધક્કા ખાતે પહોંચી જહાજમાં પ્રવાસ કરતા મુસાફરોની સમસ્યાથી પણ તેઓ અવગત થયા હતા અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા હવાઈ માર્ગે લક્ષદ્વીપ જતા હોય છે. પરંતુ દરરોજ સેંકડો પ્રવાસીઓ અને લક્ષદ્વીપના નિવાસીઓ પોતાની અવર-જવર માટે કોચી બંદર મારફત બોટનો ઉપયોગ કરતા હોય છે. ગઈકાલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે સમય કાઢી કોચી બંદર ઉપર લાંગરેલ જહાજની મુલાકાત લીધી હતી અને ધક્કાનું પણ નિરીક્ષણ કરી પ્રવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. અધિકારીઓને પણ જરૂરી દિશા-નિર્દેશ આપી પ્રવાસ સરળ બને તે દિશામાં પ્રયાસ કરવા તાકિદ કરી હતી.