સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ પ્રદૂષણ અને ખેતીવાડીને નુકસાનના મુદ્દે લેખિત તેમજ મૌખિક રજૂ કરેલા વાંધા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના દેહરી ગામ ખાતે કાર્યરત મેસર્સ ચંદન સ્ટીલ લિમિટેડ કંપની યુનિટ- 6 મેટલ સર્જીકલ ઈન્ડસ્ટ્રીઝ રોલિંગ મીલ અને સ્ટેનલેસ સ્ટીલ બીલેટ્સના ઉત્પાદન પ્લાન્ટના પરિયોજનાના ઉત્પાદન ક્ષમતા વધારવાની વિસ્તરણ મંજૂરી માટે આજરોજ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનુસયા આર. ઝા ની અધ્યક્ષ હેઠળ પર્યાવરણીય લોક સુનાવણીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક સુનાવણીમાં સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ પ્રદૂષણનો મુદ્દો સામે રાખી આરોગ્ય અને ખેતીવાડીને નુકશાન તેમજ રોજગારીના મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યુંહતું.
પ્રારંભમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ ચંદને અધિકારીગણ તથા જન પ્રતિનિધિઓને શાબ્દિક આવકાર આપ્યા બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા વિસ્તરણ પ્રોજેક્ટને લગતી વિસ્તૃત પૂર્વક માહિતીથી ઉપસ્થિતોને અવગત કરવામાં આવ્યા હતા.
આજના સુનાવણી કાર્યક્રમમાં દેહરી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ધનેશભાઈ તેમજ ઉપસરપંચશ્રી ઉમેશભાઈ સોલંકી અને સ્થાનિક આગેવાનો શ્રી ધર્મેશભાઈ નાયક, ખેડૂત આગેવાન શ્રી નીતિનભાઈ સાવે નારગોલ પંચાયતના માજી સરપંચ શ્રી યતિનભાઈ ભંડારી સહિતના આગેવાનોએ કંપની સામે હવા અને ધ્વનિ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણના કારણે થતું પર્યાવરણીય નુકસાન તરફ ધ્યાન દોરવા સાથે રોજગારી તેમજ સીએસઆર અંતર્ગત કરવામાં આવતી કામગીરીના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આજના સુનાવણી કાર્યક્રમમાં નારગોલના માજી સરપંચ શ્રી યતિનભાઈ ભંડારીએ દરિયા કિનારાને થતા નુકસાનના કારણે માછીમારોની આજીવિકા પર પડનારી વિપરીત અસરનો પણ મુદ્દો પ્રકાશિત કર્યો હતો.
આજની લોક સુનાવણી કાર્યક્રમમાં ઉમરગામ મામલતદાર શ્રીમતી કલ્પનાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતસિંહ પઢિયાર, ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, યુઆઈએના પ્રમુખ શ્રી નરેશભાઈ બંધીયા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી, ભાજપા અગ્રણી શ્રીકનુભાઈ સોનપાલ તેમજ ભાજપા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી સહિતના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત યોજાયેલ સુનાવણી કાર્યક્રમનુ સંચાલન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીશ્રી એ ઓ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.