(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી,તા.27: કિલ્લા પારડી ખાતે આવેલ સ્વાધ્યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયમાં સંઘ વિચારક શ્રી ઉજ્જવલભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં વીર બાળ દિવસની ઉજવણી અને પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂગોવિંદસિંહના વીર પુત્રો જોરાવરસિંહ અને ફત્તેહસિંહના ધર્મ અને સંસ્કૃતિ માટેના અજોડ બલિદાનની શૌર્યગાથાને રજૂ કરી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના જતન માટે સજ્જ થવા વીર બાળ દિવસ અને પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘ વિચારક શ્રી ઉજ્જવલભાઈ પટેલે એમની આગવી શૈલીમાં સંબોધતા ગુરૂ તેગબહાદુરના દેશ અને રાષ્ટ્ર કાજે કરાયેલ શૌર્યસભર સ્વાર્પણને સ્મરી વર્તમાન સમયમાં શીખ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખી તુલસીપૂજન અને તેજોમય દીપનું પ્રજ્વલન કરવામાં કરવામાં આવ્યું હતું અને પ્રાચાર્યશ્રી પાર્થ ભટ્ટે અતિથિઓને અક્ષત કુમકુમ અને શાલ ઓઢાડી સ્વાગત અને આભાર દર્શન કર્યું હતું.
સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ ‘મનસા સતતમ્ સ્મરણીયમ્’ ગીત સમૂહમાં રજૂ કરી પ્રસંગેને ભાવસભર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઋષિકુમાર શ્રી વરૂણ દવેએ કર્યું હતું.