(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: ચીન, જાપાન, કોરિયા, બ્રાઝિલ અને અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં કોવિડ-19ના નવા વેરિઅન્ટે મચાવેલ હાહાકારને લઈ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનપણ સતર્ક થયું છે અને આ મહામારીને નાથવા જરૂરી તમામ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારના દિશાનિર્દેશ અનુસાર કોવિડ-19ના રોકથામ માટે આગોતરા પગલાંરૂપે સમગ્ર ભારતના સરકારી હોસ્પિટલો સાથે દાનહ અને દમણ- દીવના ત્રણેય જિલ્લાઓમાં તમામ હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજન સમર્થિત બેડ, આઈસીયુ વોર્ડ, વેન્ટિલેટર સમર્થિત બેડ, ડોક્ટરો, નર્સો, પેરામેડીકલ અને આયુષ ડોક્ટરોની ઉપલબ્ધતાની તપાસ કરવામાં આવી હતી અને પ્રદેશમાં કોરોના મહામારીને ફરીથી પ્રવેશતી રોકવા માટેની તૈયારીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રિલ દરમ્યાન કોરોના પોઝિટિવ વ્યક્તિને એમના ઘરેથી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ સુધી લાવવા અને તેમના ઉપચાર માટે ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલ તત્પરતા અને ઉપલબ્ધ સંસાધનોની તપાસ અને ઉપયોગની ચકાસણી કરવામાં આવી હતી. સાથે આરોગ્ય વિભાગ દ્વારા પ્રદેશના નાગરિકોને અપીલ કરે છે કે કોરોનાથી બચવા માટે કોવિડ-19 અનુરૂપ વ્યવહાર જેવા કે માસ્ક પહેરવા, બે ગજની દુરી બનાવી રાખવી, ભીડભાડવાળી જગ્યા પર જવું નહીં, હેન્ડ સેનેટાઈકરવા તથા પોતાનું અને પોતાના પરિવારનું સંપૂર્ણ રસીકરણ કરાવવું. જો કોઈપણ વ્યક્તિમાં કોવિડ સંબંધિત લક્ષણ દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ પોતાની તપાસ અને ઈલાજ કરાવે અથવા ટોલ ફ્રી નંબર 104 પર સુચિત કરવું.