ચીખલીની ક્વોરીઓમાંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં નહીં આવતા સ્થાનિક ટ્રકમાલિકોની રોજીરોટીને અસર થતાં હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: ચીખલી વિસ્તારની કેટલીક ક્વોરીઓમાંથી કોલસા, સિમેન્ટની ખાલી ગાડીઓ (રિટર્ન)માં ખનીજ ભરી અપાતા સપ્ટેમ્બર 2021માં ભારે વિવાદ સર્જાયો હતો ત્યારે સ્થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા તાત્કાલીન પ્રાંત અધિકારી અને પી.આઈ સહિતની મધ્યસ્થીમાં રિટર્ન ટ્રકોમાં ખનીજ ન ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડયો હતો અને હડતાલનો અંત આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આ સમાધાનનો ભંગ થતાં ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆતને ધ્યાને ન લઈ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ દાખવવામાં ન આવતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર સીધી અસર થતા આજે ચાર જાન્યુઆરી બુધવારના રોજથી ફરી હડતાલનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે અને આ અંગેની જાણ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિતનાઓને કરી દેવામાં આવી છે. હડતાળના એલાનથી 500 થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે અને ખનીજના વહન પર અસર થતાવિકાસના કામોને પણ વિપરીત અસર થશે.
ટ્રક એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમારના જણાવ્યા અનુસાર ક્વોરીઓમાંથી બહારની રિટર્ન ગાડીઓ બોલાવી ખનીજ ભરી આપવામાં આવતા સ્થાનિક ટ્રક માલિકોની રોજી છીનવાતા આ પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બુધવારની સવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનું નક્કી કરાયું છે જેને પગલે 500 થી વધુ ટ્રકોના પૈડા થંભી જશે.