ઢોલ, ત્રાસા, ડી.જે. શણગારેલ ટ્રેક્ટર, ગાડીઓમાં શ્રીજીને બિરાજમાન કરી વાપી, વલસાડ, ધરમપુરમાં ભવ્ય વિસર્જન યાત્રાઓ યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.17: ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીના શુભ મંગલ દિવસથી વલસાડ જિલ્લામાં સર્વત્ર સાર્વજનિક ગણેશ મહોત્સવનો શુભારંભ થયો હતો. 10 દિવસીય આ મહામહોત્સવનો આજે મંગળવારે અનંત ચૌદશે અંતિમ દશમો દિવસ હોવાથી જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીજી પ્રતિમાઓની ભવ્ય વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી.
ગણેશ મહોત્સવ વિવિધ રીતે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દોઢ દિવસીય, ત્રણ દિવસીય, પાંચ અને સાત દિવસીય ગણેશ વિસર્જન કરાયું હતું. આજે અનંત ચૌદશ, ગણેશ ઉત્સવના અંતિમ દિન હોવાથી ગણેશ ભક્તોએ જિલ્લાભરમાં હજારો મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરવા ભવ્ય વિસર્જન યાત્રાઓ ઠેર ઠેર યોજાઈ હતી. શણગારેલા ટ્રક, ટેમ્પા, ટ્રેક્ટર, ગાડીઓમાં શ્રીજી મૂર્તિઓને ભાવપૂર્વક બિરાજમાન કરીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં શ્રધ્ધાપૂર્વક વિસર્જન યાત્રાઓ નિકળી હતી. ઢોલ, ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા કુદતા, રાસગરબા ગાતા ગાતા ગણેશ ભક્તો સેંકડોની સંખ્યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા. આરતી, પૂજા, અર્ચન કરી નદીઓના ઓવારેથી દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.