દમણ જિલ્લા કોળી પટેલસમાજના સોમનાથ ભવન-ભેંસરોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય પ.પૂ. મેહુલ બાપુના કંઠમાંથી વહેલી સરસ્વતીની સરવાણીથી મંત્રમુગ્ધ બનેલો સભા મંડપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ભેંસરોડ ખાતે આજે શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી મેહુલભાઈ જાનીના કંઠમાંથી વહેલી સરસ્વતીની સરવાણીથી સમગ્ર સભા મંડપ ભાવવિભોર બની ગયો હતો. પૂજ્ય બાપુએ વ્યાસપીઠ ઉપરથી પોતાની ભાવવાહી વાણીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંપત્તિની સાચવણી માટે પણ સંસ્કાર, સત્સંગ અને સદ્ગુરૂની જરૂર છે. જીવનમાં લક્ષ્મી કમાવવી સહેલી છે, પરંતુ સરસ્વતી કમાવવી ખુબ અઘરી છે.
સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ.શ્રી મેહુલભાઈ જાનીએ વ્યાસપીઠ ઉપરથી સરસ્વતીના ત્રણ પ્રકાર બતાવ્યા હતા. પ્રથમ સરસ્વતી એટલે વાણી અને વિવેક, બીજું સરસ્વતીનું રૂપ મનુષ્યની બુદ્ધિ અને ત્રીજું સરસ્વતીનું રૂપ વિદ્યા છે. તેમણે આજે કહેલી ભાઈ-બહેનની કથાએ પણ સભા મંડપમાં સોપો પાડી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક સાથે 365 દિવસના આશીર્વાદ આપે એનું નામ બહેન છે.
પ.પૂ.શ્રી મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, જન્મભૂમિ અને કર્મભૂમિનું મહત્વ સરખું જ છે. પૂજ્ય બાપુએ પણએકરાર કર્યો હતો કે તેમણે પણ કર્મભૂમિ દમણ પ્રત્યે અપાર પ્રેમ છે. દમણના દાનવીરો, દમણના સ્નેહીઓ તથા ભક્તજનોનું તેમના હૃદયમાં સ્થાન છે. સભામંડપમાં દમણના 24 ગામોથી ઉપસ્થિત ભાવિક ભક્તોની હાજરીથી સમગ્ર હોલ છલકાઈ ગયો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્ટી શ્રીમતી ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, સચિવ શ્રી કાંતિભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી રમેશભાઈ પટેલ, મુખ્ય યજમાન શ્રી હરિશભાઈ પટેલ (સોમનાથ), શ્રી પિયુષભાઈ પટેલ, કારોબારી સમિતિના સભ્ય શ્રી સુભાષભાઈ પટેલ (પટલારા), શ્રી બાબુભાઈ (વિકાસભાઈ) પટેલ, શ્રી મયંક પટેલ તથા શ્રી ઉપેન્દ્ર કેશવ પટેલ અને ભાવિક ભક્તજનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.