પ્રજાલક્ષી કામોમાં વિભાગોએ પરસ્પર સંકલન કરી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાઃ મંત્રી મુકેશભાઈ પટેલ
-
જિલ્લાના તમામ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની માહિતી આપવા માટે મંત્રીએ કલેકટરને જણાવ્યું
-
મંત્રીએ તમામ વિભાગોની કામગીરીનું પ્રેઝન્ટેશન નિહાળી સૂચનો કર્યા
-
જિલ્લાની જે આંગણવાડીઓ જર્જરિત છે તેને રીપેરકરવા તેમજ તમામ આંગણવાડીઓની એક સરખી ડિઝાઈન તૈયાર કરવા જણાવતા મંત્રીશ્રી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લાં પ્રભારી અને રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જી તેમજ જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે આજે તા.06ઠ્ઠી જાન્યુઆરીના રોજ કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં સૌ પ્રથમવાર વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ, વલસાડ, ધરમપુર, કપરાડા અને ઉમરગામના ધારાસભ્યો સર્વ ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી અને રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ સૌપ્રથમ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ર્ડા.રાજદીપસિંહ ઝાલા અને તમામ વિભાગોના વડાઓ સાથે પરિચય કરી બેઠકનો પ્રારંભ કર્યો હતો. મંત્રીશ્રીએ જિલ્લામાં સારી કામગીરી ચાલી રહી છે તેનો સંતોષ વ્યક્ત કરી પ્રજાલક્ષી કામગીરીમાં વિભાગોએ પરસ્પર સંકલનથી પ્રશ્નો ઉકેલવા તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં તમામ વિભાગોની ખાલીજગ્યા તબક્કાવાર ભરવા માટે કેબિનેટ બેઠકમાં નક્કી કર્યા મુજબ વલસાડ જિલ્લાના વહીવટી તંત્રમાં પણ વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓની માહિતી જિલ્લા કલેકટરશ્રીને આપવા જણાવ્યું હતું. જેથી જિલ્લાના સંબંધિત વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ તબક્કાવાર ભરી શકાશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ર્ડા.રાજદીપસિંહ ઝાલાએ મંત્રીશ્રીને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાષની સ્થિતિ સારી છે એમ જણાવી વધુમાં કહ્યું કે, અહીંની પ્રજા શાંતિપ્રિય છે જેથી અહીં ક્રાઈમ રેટ એકંદરે ઓછો છે. પોલીસતંત્ર દ્વારા જિલ્લામાં સારી કામગીરી થઈ રહી છે સાથે સાથે વલસાડ જિલ્લામાં ગુનાના ડીટેકશનમાં 86 ટકા સુધી કામગીરી કરવામાં આવી છે જેને 90 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની કામગીરી, સુરક્ષા સેતુ હેઠળ થયેલી કામગીરી, નાર્કોટિક્સની કામગીરી તેમજ બોર્ડર પર ચેકપોસ્ટોની વિગતો મેળવી હતી.
મંત્રીશ્રીએ તમામ જિલ્લાના તમામ વિભાગોની કામગીરીનું પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવી હતી. બેઠકમાં મંત્રીશ્રીએ તમામ વિભાગોની કામગીરીનું પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ માહિતી મેળવી હતી. જેમાં સંકલિત આદિજાતિ વિસ્તાર યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન 90 ટકા, અને 10 ટકા,બોર્ડર વીલેજ, આદિમજૂથની પાયાની સુવિધાઓ, હળપતિની પાયાની સુવિધાઓ, દૂધ સંજીવની યોજના, વનવાસી ખેડૂત, સશક્તિકરણ યોજના, ન્યુકિલયસ બજેટ, ઘેર ઘેર પાણી યોજના, કલા કૌશલ્યત યોજના તેમજ ગુજરાત ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો, વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ થયેલા કામો, વન વિભાગ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વાવેતર, વાડી યોજના, તેમજ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસીઓ સર્પદંશના કારણે મૃત્યુ પામે છે જેના માટે ધરમપુરમાં સ્નેક રીસર્ચ ઈન્ટિસ્ટુટની થઈ રહેલી કામગીરી બાબતેની જાણકારી મેળવી હતી. સાથે સહભાગી વનવ્યવસ્થા હેઠળ થયેલી કામગીરીની પણ માહિતી મેળવી હતી.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સી હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, મનરેગા, સ્વચ્છ ભારત મિશન, એન. આર. એલ. એમ. મિશન મંગલમ યોજના, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા તથા શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળની યોજનાઓની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લાની પાંચ નગરપાલિકાઓ વલસાડ, વાપી, પારડી, ધરમપુર અને ઉમરગામની સ્વાર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14 માં અને 15 માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળના થયેલા કામોની જાણકારી મેળવીહતી. જિલ્લાના માર્ગ અને મકાનના સ્ટેટ અને પંચાયત વિભાગ હેઠળના રસ્તાઓ, પુલો, આર.ઓ.બી. તેમજ પુલોની માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ જિલ્લાની જે આંગણવાડીઓ જર્જરિત છે તેને રીપેર કરવા તેમજ તમામ આંગણવાડીઓની એક સરખી ડિઝાઈન તૈયાર કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર એ.કે.કલસરીયા, દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋષિરાજ પુંવાર, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક યદુ ભારદ્વાજ, વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ નિલેશ કુકડીયા, સની પટેલ અને કેતુલ ઈટાલિયા, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર ધર્મેશ પટેલ, ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી બી.ડી.બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ તેમજ જિલ્લાની પાંચેય નગરપાલિકાના ચીફ ઓફિસરો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.