(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના કેટલાકગામોમાં ‘નલ સે જલ યોજના’માં ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. ‘નલ સે જલ’ યોજનામાં માત્ર રૂપિયાનો બગાડ કરી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરોની તિરજોરી ભરવાનું માધ્યમ બની હોવાનું લોકમુખે ભારે ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે તેનો જીવતો જાગતો દાખલો ચીખલી તાલુકાના કેટલાક ગામોનાં ફળિયામાં મુકવામાં આવેલ ‘નલ સે જલ’ યોજના અંતર્ગતના પાણી ઝંખતા નળોમાં જોવા મળી રહ્યો છે.
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રીની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત તાલુકાના દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાને મહિનાઓનો સમય વીત્યા બાદ પણ કેટલાક ગામો કે ગામોનાં ફળિયાના ગ્રામજનોને એક ટીપું પાણી પણ નસીબ થાય તે પહેલાં જ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડીરહ્યું હોવાનું ફલિત થતું દેખાઈ રહ્યું છે.
આ સરકારી યોજનાનાં તમામ કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. પાણીની આ તમામ પાઈપ લાઈન જમીનની નીચે દાટવાની હોય છે પણ ઉપર જ દાટી વેઠ ઉતારવામાં આવી છે. આ લાઈન પર વાહનો જતા તૂટી રહી છે. કેટલાય ગામોમાં નળમાં તો હજુ સુધી પાણી જ આવ્યું નથી તે પહેલાં નળો તૂટી જવા પામ્યા છે. આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે પાણી ગ્રામજનો ને મળે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે. આ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા અમુક વર્ષો સુધી મેઈન્ટેન્સ કરવાનું હોય છે ત્યારે વહેલી તકે લાઈન રિપેર કરી લોકોને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.