(વર્તામન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: મિત્રો સાથે સાપુતારા ફરવા નીકળેલા નવસારીના બે યુવાનનું ચીખલીના વાંઝણા ગામે માર્ગ અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના ધારાગીરી મુસ્લિમ ફળીયા ખાતે રહેતા નદીમ અખ્તર શેખ (ઉ.વ-22) રવિવારની સવારના સમયે ફળીયાના છોકરાઓ સાથે 5-જેટલી મોટર સાયકલ ઉપર 11-જેટલા લોકો સાપુતારા ફરવા જવા માટે નીકળ્યા હતા. દરમ્યાન બજાજ પલ્સર નં.જીજે-21-બીએમ-2670 ઉપર ફૈઝલખાન સલીમ પઠાણ અને અમાન ઈમ્તિયાઝ શેખ જઈ રહ્યા હતા. ત્યારે સવારના સમયે ચીખલીના વાંઝણા ગામે નહરેની બાજુમાં અક્ષરમ ડેરીની સામે વળાંકમાં પલ્સર મોટર સાયકલ સ્લીપ થતા અને સામેથી આવી રહેલ અશોક લેલન ટ્રક નં.એમએચ-10-ડીટી-9190 ના આગળના ભાગે મોટર સાયકલ અથડાતા મોટર સાયકલ ચલાવનાર ફૈઝલખાન સલીમ પઠાણ (રહે.મુસ્લિમ ફળીયું ધારાગીરી તા.જી.નવસારી) ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં જેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ અમાન ઈમ્તિયાઝ શેખ (રહે.મુસ્લિમ ફળીયું ધારાગીરી તા.જી.નવસારી) ને પગના ભાગે તેમજ શરીરે ઈજા થતાં 108 ની મદદથી સારવાર અર્થેનવસારીની ઓરેન્જ હોસ્પિટલમાં લઈ જવાતા જ્યાં સારવાર દરમ્યાન તેનું પણ મોત નીપજ્યું હતું.
મુસ્લિમ સમાજના બે યુવાન દીકરાના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ નદીમ અખ્તર શેખ (ઉ.વ-22) (રહે.મુસ્લિમ ફળીયું ધારાગીરી તા.જી.નવસારી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.