(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મીનાબેન વરઠા અને શ્રી રમેશ માહલાએ પ્રદેશમાં સૌથી જરૂરી એવા હૃદયરોગ અને કેન્સરની સારવાર શરૂ કરવા માટે નિયમિત કાર્ડિયોલોજિસ્ટ અને ઓન્કોલોજીસ્ટની ભરતી કરી શરૂ કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. આ દરખાસ્તની કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ સરાહના કરી હતી અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગ અને કેન્સરનીસારવાર જલ્દીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્યો, આરોગ્ય વિભાગના સલાહકાર ડો.વી.કે.દાસ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.