રાંધા વિસ્તારના જુદા જુદા રોગના 139 જેટલા દર્દીઓએ આરોગ્ય શિબિરનો લીધેલો લાભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય વિભાગના સલાહકાર ડૉ. વી.કે.દાસના દિશા-નિર્દેશ હેઠળ સામુદાયિક આરોગ્ય વિભાગ નમો મેડિકલ કોલેજ એન્ડ એજ્યુકેશન રિસર્ચઈન્સ્ટિટયૂટ-સેલવાસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંધામાં વિલેજ એડોપ્શન કાર્યક્રમ અંતર્ગત મેગા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારની આઉટરીચ સેવાઓની જાણકારીને જમીની સ્તર સુધી પ્રસારિત કરવા માટે વિલેજ એડોપ્શન કાર્યક્રમની શરૂઆત 7 એપ્રિલ, 2022ના રોજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ આરોગ્ય શિબિર અંતર્ગત નિષ્ણાતો દ્વારા આરોગ્ય તપાસ અને સલાહ, લોહીની તપાસ, દવાનું વિતરણ, રેફરલ સેવાઓ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીશ, એનિમિયા, કુપોષણ, દ્રષ્ટિ અને શ્રવણદોષ જેવા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. દાંતની તપાસ, ગર્ભવતી મહિલાઓ અને માતાઓ માટે એ.એન.એસી./પી.એન.અસી. સંભાળ વગેરે બાબતે પણ તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાંધા ખાતે આયોજીત મેગા આરોગ્ય શિબિરમાં આરોગ્ય સંબંધી યોજનાઓ અને બિમારીઓની બાબતમાં જાગૃતિ ફેલાવવા આઈ.ઈ.સી. કોર્નર પણ લગાવવામાં આવ્યું હતું. આ શિબિરનો લાભ કુલ 139 દર્દીઓએ ઉઠાવ્યો હતો. દર્દીઓને આઈ.ઈ.સી. હેન્ડઆઉટ અને પરામર્શના માધ્યમથી ચેપી અને બિનચેપી રોગોના રોકથામ અને પ્રારંભિક તપાસ માટે જાગૃત પણ કરાયા હતા.