(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : આજે સેલવાસના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેપોલીસ અને હોમગાર્ડના જવાનોની વ્યક્તિગત અને આધિકારીક ફરિયાદો જાણવા માટે દાનહ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણાની અધ્યક્ષતામાં ‘સંપર્ક સભા’નું આયોજન કરવામા આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે ‘સંપર્ક સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ ગત સંપર્ક સભાના કાર્યોનું એક લેઆઉટ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત પોલીસ અને હોમગાર્ડના જવાનોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ અવસરે દરેક કર્મીઓએ પોતાના પ્રશ્નો જેવા કે ફરજ દરમિયાન નડતી સમસ્યાઓ એસ.પી. સમક્ષ રજૂ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં એસ.પી. શ્રી મીણાએ પણ તેમના દરેક પ્રશ્નોના ઉકેલનું સમાધાન કરવાનું આશ્વાસન આપ્યું હતું અને જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યા હતા. પોલીસ અધિક્ષક શ્રી આર.પી.મીણાએ દાનહ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ટીમવર્કની સરાહના કરી અને પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવતા પ્રયાસો અને વિવિધ કેસોના ઉકેલ અંગે પણ સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ ‘સંપર્ક સભા’માં એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, પી.ટી.એસ. સાયલી વાઇસ પ્રિન્સિપાલ શ્રીએન.એલ.રોહિત, મહિલા અને પુરૂષ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.