પ્રભાબેન શાહ છેલ્લા દોઢ મહિનાથી શ્વાસ અને હૃદયની બીમારીથી પીડાઈ રહ્યા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18: સંઘપ્રદેશ દમણનાં સમાજ સેવી, મહિલા સશક્તિકરણના પ્રહરી અને અનેક પ્રવૃત્તિમાં સંકળાયેલા તેમજ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા પ્રભાબેન શાહનું 92 વર્ષની જૈફ વયે આજે અવસાન થયું છે. 20 ફેબ્રુઆરી 1930માં બારડોલીમાં જન્મેલા પ્રભાબેન શોભાગચંદ શાહ બાળપણથી જ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ દમણને પોતાની કર્મભૂમિ બનાવી પરિવાર સાથે દમણમાં સ્થાયી થયેલા પ્રભાબેને વિવિધ સેવાકીય કાર્યની સાથે સમાજ સેવાના કાર્યોની શરૂઆત કરી હતી. 92 વર્ષની જૈફ વયે પણ તેઓ સમાજ સેવા સાથે સંકળાયેલા રહ્યા હોવાને લઈ ગત વર્ષે જ દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ અને વિશિષ્ટ કામગિરી કરનારા 128 પ્રતિભાને દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં દમણના પ્રભાબેન શાહનું નામ પણ સામેલ હોવાને લઈ તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. દમણ ભાજપ તરફથી પણ તેમને અટલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા પ્રભાબેન છેલ્લા દોઢ મહિનાથી શ્વાસ અને હાર્ટનીબીમારીથી પીડાઈ રહ્યા હતા.
તેમની તબિયત અચાનક લથડતાં પરિવારના સભ્યો તેમને મંગળવારના રોજ દમણની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી તેમને દમણની સરકારી હોસ્પિટલ મરવડના આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે બુધવારે બપોરે 1:30 કલાકે પ્રભાબેન શાહે અંતિમ શ્વાસ લીધા હતા.
અત્રે નોંધનીય છે કે, પ્રભાબેન શાહના પાર્થિવ દેહમાંથી આઈ ડોનેશન પણ કરાયું છે. આવતી કાલે ગુરુવારે સવારે એરપોર્ટ રોડ પાસે આવેલા સંસ્કળતિ એપાર્ટમેન્ટથી તેમની સ્મશાન યાત્રા નિકળશે. સાદગી અને સુમેળભર્યું જીવન જીવનારા પદ્મશ્રી પ્રભાબેનનું અવસાન થતાં પરિવારની સાથે પ્રદેશના વિવિધ સંગઠનો, મંડળો અને અન્ય લોકોમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે.