પરમાણુથી બોમ્બ પણ બને અને પરમાણુ સલામત વિદ્યુત ઉત્પાદન માટે પણ અનિવાર્ય વિકલ્પ છેઃ અમૃતેશ શ્રીવાસ્તવ
2000 વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને અંધશ્રધ્ધા નિવારણના પ્રયોગોનું નિદર્શનવડે સમજ પણ અપાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ શાહ, જુ. મેંટર, ઇનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા રોબોટની વર્તમાન સમયમાં ઉપયોગિતા, રોબોટમાં વપરાતા સેન્સર, વગેરે વિશ માહિતી અને નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા અંધશ્રધ્ધા નિવારણના પ્રયોગોનું નિદર્શન કરાયું હતું, જેમાં હાથમાંથી કંકુ કાઢવું, કાગળ પર અદ્રશ્ય સંદેશ પ્રગટ કરવો, માચીસ વગર અગ્નિ પ્રગટાવવો, પાણીથી અગ્નિ પ્રગટાવવો, હાથમાંથી કાપ્યા વગર લોહી કાઢવું વગેરે પ્રયોગો બતાવી તેનું વૈજ્ઞાનિક રહસ્ય સમજાવ્યું હતું. ડો.શૈલેશ રાઠોડ, પ્રોગ્રામ ઓફિસર, વનરાજ કોલેજ, ધરમપુર દ્વારા વિદ્યાર્થીઓને સ્વામીવિવેકાનંદને વિશ્વને બદલવા નચિકેતા વૃત્તિવાળા 100 યુવાનોની જરૂર હતી એમ જણાવ્યુ હતું. કાર્યક્રમ દરમ્યાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ગાયત્રી બિષ્ટ, જુ. મેંટર, ઇનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર અને વંદના રાજગોર ટ્રેઇની એજ્યુકેશન દ્વારા વિજ્ઞાનના પ્રયોગો અને ફન એટ લો ટેમ્પરેચર લિક્વિડ નાઇટ્રોજન શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ માટે “ન્યુક્લિયર પાવરઃ સ્વચ્છ, હરિયાળા અને સલામત વિદ્યુત ઉત્પાદન માટે અનિવાર્ય વિકલ્પ…” વિષય પર અમૃતેશ શ્રીવાસ્તવ, ડે.જનરલ મેનેજર (કોર્પોરેટ કોમ્યુનિકેશન), ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, મુંબઈ દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અશોક જેઠે, જિલ્લા વિજ્ઞાન અધિકારીએ પ્રાસંગિક ઉદબોધનમાં ન્યુક્લિયર એનર્જી વિષે માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆત માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યુ કે, ભારતમાં સૌર ઊર્જા ખૂબ સારો વિકલ્પ છે પણ તે આખું વર્ષ અને 24 કલાક ઉપલબ્ધ નથી તેથી ન્યુક્લિયર એનર્જીએ સૌર ઊર્જા પછી સારો વિકલ્પ છે અને દેશના વિકાસ માટે તે ખૂબ જરૂરી છે એમ જણાવ્યુ હતું. NPCIL,મુંબઈના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્તવે તેમના વ્યાખ્યાનમાં પાવર ર્પોઈંટના માધ્યમથી ન્યુક્લિયર એનર્જી વિષેની ભ્રાંત કલ્પનાઓ વિષે જણાવતા કહ્યુ હતું કે, પરમાણુથી બોમ્બ પણ બને અને પરમાણુ સસ્તી, સ્વચ્છ, હરિયાળા અને સલામત વિદ્યુત ઉત્પાદન માટે અનિવાર્ય વિકલ્પ પણ છે. ૨ બંડલ એટલે કે ૨૭ કિલોગ્રામ યુરેનિયમથી ૧૦ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ શકે છે જ્યારે એટલી જ ઊર્જા માટે ૭,૦૦,૦૦૦ કિલોગ્રામ કોલસાની જરૂર પડે છે અને તે કોલસાના બળવાથી વાતાવરણ પ્રદુષિત પણ થાય છે. રોજબરોજના જીવનમાં પરમાણુ ઊર્જાનો ઉપયોગમાં કૃષિ ઉત્પાદનોને લાંબો સમય બગડવાથી બચવા માટે રેડીએશન પ્રક્રિયાની જરૂર પડે છે. મેડિકલ ક્ષેત્રે X રે, એમઆરઆઇ વગેરેમાં પણ ન્યુક્લિયર એનર્જીની આડપેદાશો નો ઉપયોગ કરવામાં આવે છે.
સાંજના સમયે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા મુલાકાતીઓને આકાશ દર્શન કાર્યક્રમમાં ટેલિસ્કોપથી મંગળ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો અને એન્ડ્રોમેડા ગેલેક્સી (દેવયાની આકાશગંગા), મૃગ નિહારિકા, કૃતિકા નક્ષત્રને અધ્યતન ટેલિસ્કોપ વડે નિહાળવામાં આવ્યા હતા. અમૃતેશ શ્રીવાસ્તવ, ડે.જનરલ મેનેજર, NPCIL, મુંબઈ અને ડો. ઇન્દ્ર વત્સ અને અન્ય મુલાકાતીઑએ કાર્યક્રમ માણ્યો હતો. 2000 કરતાં વધુ વિધ્યાર્થી અને મુલાકાતીઓએ રાષ્ટ્રીય યુવા દિવસના વિવિધ કાર્યક્રમોનો લાભ લીધો હતો.