કેન્દ્રીય પરિવહન વિભાગે વાપીથી ખાનપુર સુધીનો રોડ નાણામંત્રી કનુભાઈ દેસાઈની રજૂઆત બાદ મંજુર કરેલ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વિતેલા ચોમાસામાં વાપીના મોટાભાગના રોડ બેહાલ બની ગયા હતા. તમામ રોડો ઉપર ખાડેખાડા પડી ગયા હતા તેથી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્રીય પરિવહન વિભાગમાં નવિન રોડ બનાવવા અંગે ઉચ્ચ રજૂઆત કરી હતી. તેથી રોડ મંજુર થયેલ છે. તેથી વાપી જી.આઈ.ડી.સી. ચાર રસ્તાથી સેલવાસ ખાનપુર રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ બુધવારથી થઈ ગયો છે. કામગીરી શરૂ થયાની સાથે જ વાપી સેલવાસ રોડ ઉપર લાંબી લાંબી વાહનોની કતારો લાગતા સાથે સાથે ટ્રાફિક સમસ્યા પણ ઉદ્દભવી રહી છે.
વાપી-સેલવાસ રોડ ઉપર એવરેજ 20 હજાર જેટલા વાહનોની નિયમિત અવર-જવર થાય છે. તેથી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે જી.આઈ.ડી.સી. પોલીસે ડાયવર્ઝન અંગેનો અભ્યાસ હાથ ધર્યો છે. એકાદ બે દિવસમાં નિર્ણય લેવાઈ જશે.જો કે બીજી તરફ મોટાપોંઢા, કરવડ સહિતના ગામોનો ટ્રાફિક વધુ રહે છે. આ રોડ આર.સી.સી. બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. બીજુ ઓવરબ્રિજ બંધ થતા જી.આઈ.ડી.સી. ચાર રસ્તાથી ચણોદ સુધી પણ વાહનોનું ટ્રાફિક ભારણ વધ્યું છે તેથી પોલીસ માટે ટ્રાફિક ભારણ સમસ્યાની મોટી જવાબદારી આવી પડેલી છે.