કૌભાંડમાં સામેલ વ્યક્તિ વિશેષ સુધી લંબાનારો તપાસનો દૌર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ અને ખાનવેલ ખાતે કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી આપવાના આરોપ હેઠળ પોલીસ હિરાસતમાં આવેલા સેલવાસના તત્કાલિન(સસ્પેન્ડેડ) મામલતદાર અને સર્વે અને સેટલમેન્ટ ઓફિસર તિરથરામ શર્મા તથા ખાનવેલના તત્કાલિન(સસ્પેન્ડેડ) મામલતદાર અને સર્વે અને સેટલમેન્ટ ઓફિસર બ્રિજેશ ભંડારીને આજે કોર્ટમાં રજૂ કરતા વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ અને ખાનવેલના બંને આરોપી મામલતદારોએ પોતાની પાસે રહેલા સર્વે અને સેટલમેન્ટ ઓફિસરના પદનો દુરૂપયોગ કરી કરોડો રૂપિયાના બજારભાવ ધરાવતી સરકારી જમીન ખાનગી ત્રાહિત વ્યક્તિના નામે ચડાવી દીધી હોવાનું પ્રકાશમાંઆવતાં સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલી તપાસમાં બંને દોષિત ઠરતાં તેમને તાત્કાલિક પદ ઉપરથી હટાવી સસ્પેન્ડ કર્યા બાદ ખાનવેલના મામલતદાર શ્રી ભાવેશભાઈ પટેલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
સંઘપ્રદેશ પોલીસે બંને આરોપી તિરથરામ શર્મા અને બ્રિજેશ ભંડારી સામે આઈપીસીની 409, 446 અને 468 કલમ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં 6 દિવસના પોલીસ રિમાન્ડ 25 જાન્યુઆરી સુધી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી રજૂ કરતાં વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતા. ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ખતમ થયા બાદ બંને આરોપીઓ પાસે કેટલીક સંવેદનશીલ માહિતીઓ મેળવવા માટે સહકાર નહીં અપાતા નામદાર કોર્ટે શનિવારે રજૂ કરતા વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પર્દાફાશ કરાયેલા સરકારી જમીનને ખાનગી માલિકીના હાથે કરવાના કરોડો રૂપિયાના કૌભાંડમાં હવે કેટલાક એજન્ટો અને હિત ધરાવતા તત્ત્વોની પણ તપાસ થઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે.