74મા ‘પ્રજાસત્તાક દિવસ’ અને સંઘપ્રદેશના ચોથા ‘નિર્માણ દિવસ’ની દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી ઉત્સાહભેર ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં 74મા ‘પ્રજાસત્તાક દિવસ’ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચોથા ‘નિર્માણ દિવસ’ નિમિત્તે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તિરંગો લહેરાવી શુભકામના પાઠવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, દમણવાડા ગ્રામ પંચાયત વિકાસ કામોમાં પણ અગ્રેસર રહી છે અને ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક શાસન આપવા આપેલા વાયદાને પૂર્ણ કરવાની દિશામાં પણ અનેક નવતર પહેલ કરી છે.
શ્રી મુકેશ ગોસાવીએ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના કારણે પ્રદેશે વિકાસની એક નવી મંજિલ શરૂ કરી છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયત પણ પાછળ નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ફક્ત દમણમાં જ નહીં પરંતુ સમગ્ર સંઘપ્રદેશમાં દમણવાડાનો નાગરિક સ્વાભિમાન અને ઊંચા મસ્તક સાથે ફરી શકે તે પ્રકારનું વાતાવરણ પેદાકરવા આપણે બધાના સહકારથી સફળ રહેવા બદલ ખુશી પણ પ્રગટ કરી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્ય શ્રી વિષ્ણુભાઈ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી હરેશભાઈ (પપ્પુભાઈ) બારી, પંચાયતના યુવા આગેવાન શ્રી અરૂણભાઈ એફ. પટેલ તેમજ પંચાયતની સલાહકાર સમિતિના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી નિખિલ મીટનાએ કર્યું હતું.