નાયકાવાડમાં એક મિનરલ વોટર પ્લાન્ટમાં ચેકીંગ કર્યાની ઘટના બની
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટની અનેક ઘટનાઓ ગુજરાતભરમાં ઉજાગર થઈ રહી છે. તેવી વધુ એક ઘટના વાપી નાયકાવાડમાં ઘટી છે. મિનરલ વોટર સંચાલકની દુકાને પાણી અધિકારીના સ્વાંગમાં ગઠીયા પાણીનું ચેકીંગ કરવા પહોંચી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વાપી નાયકાવાડમાં સાંઈબાબા મંદિર પાસેની એક દુકાનમાં મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત છે. આ દુકાનમાં આજે સોમવારે પાણી અધિકારી સ્વાંગમાં ગઠીયા ચેકીંગ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ વેપારીને શંકા જતા વાપી શહેર યુવા કોંગ્રેસ વરુણસિંહ ઠાકુરનો સંપર્ક કર્યો હતો. વરુણસિંહ ઘટના સ્થળે પહોંચી હકીકત જાણ્યા બાદ વાપી નગરપાલિકાના પાણી વિભાગનો સંપર્ક કર્યો હતો. પાલિકા અધિકારીએ તુરંત સ્પષ્ટતા કરી હતી કે અમારી કોઈ ટીમ પાણી ચેકીંગ કરવા જતી નથી. ત્યારબાદ વરુણસિંહે વિડીયો બનાવી વાયરણ કર્યો હતો અને વાપીના મિનરલ વોટરના વેપારીઓને સતર્ક રહેવા માટે જાહેર અપીલ કરી હતી.