(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: ચીખલી નજીકના સમરોલીના વ્યક્તિ પાસે અવારનવાર વ્યાજના નાણાંની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપનાર ખૂંધ ગામના શખ્સ સામે પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી શાંતિલાલ સોમજીભાઈ પટેલ (રહે.સમરોલી ને.હા.નં-48 કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીની બાજુમાં તા.ચીખલી) કે જેઓ ઘરની બાજુમાં કચ્છ વિજય સો મિલ નામનો બેન્ડસો ચલાવે છે. તેમના મોટા દીકરાના 29 નવેમ્બર 22 ના રોજ લગ્ન નક્કી કરેલ હોય અને લગ્ન પ્રસંગ માટે પૂરતા રૂપિયા ન હોય વ્યાજે લેવાનું નક્કી કરી વ્યાજે નાણા આપતા વિજય અશોકભાઈ જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) નો સંપર્ક કરતા તેમણે ખુદમાં રોયલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં તેની ઓફિસે 16 નવેમ્બર 22ના રોજ જતા અને રૂા.17,00,000/- વ્યાજે આપવાની માંગણી કરતા તેમને હા પાડેલપરંતુ તેની માંગણી અનુસાર સિકયુરિટી પેટે શાંતિલાલ પટેલે તેમના પિતાના નામે સમરોલીમાં આવેલ મકાનનો વેચાણ સાતાખત લખી આપી બેન્ક ઓફ ઈન્ડિયાના તેમના ખાતાના આઠ જેટલા કોરા ચેક પર સહી કરી આપ્યા હતા. બાદમાં માસિક રૂા.1,70,000/- વ્યાજ નક્કી કરી 17 લાખ રૂપિયા આપ્યા હતા. અને તેમાંથી પ્રથમ હપ્તાના રૂા.1,70,000/- કાપી લીધા હતા.
ઉપરોક્ત વ્યાજ ખૂબ વધારે હોય અને આર્થિક સ્થિતિ સારી ન હોય ત્યારબાદના વ્યાજના હપ્તાના નાણાં ચૂકવી ન શકતા અવાર-નવાર વ્યાજની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપતો હોવા મુજબની ફરિયાદમાં પોલીસે વિજય અશોક જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.