અમદાવાદ ખાતે એપીકોન-2023 માં રજૂ કરેલ સંશોધનાત્મક પેપર્સને મળ્યુ પ્રથમ પારિતોષિક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ શહેરમાં આવેલ જાણીતી સૌજન્ય હોસ્પિટલનાં નામાંકિત તબીબ ડો.કાંતિભાઈ પટેલને રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ પેપર પ્રાઈઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે 26 થી 29 જાન્યુઆરી 2023ના રોજ એસોસિયેશન ઓફ ફિઝીશ્યનસ ઓફ ઈન્ડિયાનું 78મું વાર્ષિક અધિવેશન એપીકોન-2023 યોજાયું હતુ જેમાં સમગ્ર દેશમાંથી વિશાળ સંખ્યામાં ફિઝીશ્યનસ ડોકટરોએ ભાગ લીધો હતો. આ અધિવેશનમાં દેશભરમાંથી ઉપસ્થિત રહેલા અનેક ડોકટરોએ વિવિધ રોગો ઉપર તેમના સંશોધન પેપર્સ રજૂ કર્યા હતા.
અમદાવાદ ખાતે યોજાયેલ આ ચાર દિવસીય ફિઝીશ્યનસ તબીબોના રાષ્ટ્રીય અધિવેશનમાં વલસાડ શહેરની જાણીતી સૌજન્ય હોસ્પિટલનાં નામાંકિત તબીબ ડો.કાંતિભાઈ પટેલે માનવ શરીરમાં જ્ઞાનતંતુનાં રોગોમાં જવલ્લે જ જોવા મળતા જેને તબીબી ભાષામાં ‘હીરાયામાં’ ડીઝીઝ તરીકે તથા જીનેતિક ક્ષેત્રમાં એટલે કે વંશપરંપરાગત રોગોમોં જેને તબીબી વિજ્ઞાનમાં ‘કેસ ઓફ સ્યુડોહરમેફરોડીઝમ’ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગો અંગે તેમણે સંશોધનાત્મક પેપર્સ રજૂ કર્યા હતા. આ સંશોધનાત્મક પેપર્સ બદલ ડો. કાંતિભાઈ પટેલને ‘એપીકોન-2023′ માંરાષ્ટ્રીય કક્ષાનું પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યુ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વલસાડની સૌજન્ય હોસ્પિટલનાં નામાંકિત તબીબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ડો.કાંતિભાઈ પટેલ છેલ્લા ચાર દાયકાથી ફિઝીશ્યન તબીબ તરીકે પ્રેકટીશ કરે છે. દક્ષિણ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારની પ્રજામાં કાળોકેર વર્તાવનાર લેપ્ટોસ્પાઈરોસીસ નામના રોગની પ્રથમ ઓળખ આપનાર તબીબ ડો.કાંતિભાઈ પટેલ હતા. આ અગાઉ ડો.કાંતિભાઈ પટેલનાં લેપ્ટોસ્પાઇરોસીસ, સીકલસેલ ડીઝીઝ અને એઈડઝ જેવા રોગો પર રજૂ કરેલા સંશોધનો માટે તેમને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનાં પારિતોષિક મળી ચુકયા છે. હવે તેમની આ યશકલગીમાં સિધ્ધીનું વધુ એક છોગુ ઉમેરાયુ છે.
ડો.કાંતિભાઈ પટેલે આ સિધ્ધી મેળવી વલસાડનું ગૌરવ વધાર્યુ છે.