સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારથી લઈને બાળક જન્મે ત્યાં સુધીના 1000 દિવસ ખૂબ જ મહત્વનાઃ પ્રોગ્રામ ઓફિસર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: સગર્ભાસ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ સાથે તેમના પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું સ્વાસ્થ્ય, પોષણની સ્થિતિ, આહારની પધ્ધતિ અને સરકારી યોજનાનો ઉપયોગ થઈ શકે તેમાટે આઈટીસી લિમિટેડ, બેંગલોર અને ન્યૂ દિલ્હી સ્થિત મમતા હેલ્થ ઈન્સ્ટિટયૂટ ફોર મધર એન્ડ ચાઈલ્ડ દ્વારા વલસાડ તાલુકામાં પોષણ 2.0 અભિયાનની માર્ગદર્શિકા મુજબ પ્રોજેક્ટ બાલ પોષણનો શુભારંભ હોટલ હોરિઝોનમાં કરવામાં આવ્યો હતો.
યુનાઈટેડ નેશન્સ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગ્રુપ-2030ના લક્ષ્યાંકો અને ભારત સરકારના પોષણ 2.0 અભિયાન હેઠળ આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં મમતા એચઆઈએમસી દ્વારા વલસાડ તાલુકામાં શરૂ કરાયેલા પાઈલોટ પ્રોજેક્ટ બાલ પોષણ અંગે વલસાડ સિવિલ હોસ્પિટલના આરસીએચઓ ડો. એ.કે.સિંઘે જણાવ્યું કે, આપણે સૌ સાથે મળીને સામૂહિક રીતે એક સ્વસ્થ અને સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ છે. જ્યાં માતાઓ અને બાળકો કુપોષણથી મુક્ત હોય અને સ્વસ્થ જીવન જીવી શકે.
આઈસીડીએસના વલસાડ જિલ્લાના ઈન્ચાર્જ પ્રોગામ ઓફિસર નિલમ પટેલે જણાવ્યું કે,સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારથી લઈને બાળક જન્મે ત્યાં સુધીના 1000 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. જેથી અમે માતા અને બાળકના સ્વાસ્થ્ય અને પોષણની સ્થિતિ સુધારવા માટે વિવિધ હિતધારકો સાથે કામ કરવા આતુર છીએ. ખાસ કરીને IYCF એટલે કે, શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાનો અસરકારક અમલીકરણ કરી જિલ્લામાં 5વર્ષથી નીચેના બાળકોમાં સ્ટન્ટીગ, વેસ્ટિંગ અને ઓછા વજનના પ્રમાણને ઘટાડવામાં મદદ કરશે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યૂટ્રીશન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. વનિષા નામ્બિયારે શ્રેષ્ઠ ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડિંગ પ્રેક્ટિસ (IYCF) (શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પધ્ધતિ)ના મહત્વ ઉપર પ્રકાશ પાડયો હતો. એમ.એસ. યુનિ.ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.શ્રુતિ કાંટાવાલાએ પોષણને પૂરક બનાવવા માટે આહારની આદતો અને સ્થાનિક વાનગીઓનું વર્ણન કર્યુ હતું. વધુમાં તેઓએ તકનીકી સહાય પૂરી પાડવા, સારી ગુણવત્તાની માહિતી સંગ્રહ, પુરાવા આધારિત હસ્તક્ષેપ અને પ્રોજેક્ટમાં શિક્ષણ સામગ્રીના વિકાસની ખાતરી કરવા માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
મમતા એચઆઈએમસીના ગુજરાતના પ્રોગામ મેનેજર કુ. પ્રિયાંશુ રસ્તોગીએ જણાવ્યું કે, પ્રોફેસરો અને ગામના સરપંચો, આંગણવાડીની બહેનો અને આશા વર્કરોના સહયોગથી વલસાડમાં માતા અને બાળકના જીવનને સુધારવા માટે આ પ્રોજેક્ટ હેઠળ સર્વે કરાશે. માતા અને બાળકોનું કાઉન્સેલિંગ કરાશે. સરકારની યોજનાઓનું મહત્વ સમજાવી આ પ્રોજેક્ટના નિર્ધારિત લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં આવશે.
આ પ્રસંગે સીડીપીઓ સોનલબેન પટેલ, સીડીપીઓ મંજુલાબેન ભોયા,વલસાડ મેડિકલ કોલેજના કોમ્યુનિટી અને મેડિસિન વિભાગના મદદનીશ પ્રોફેસર ડો. વૈભવ ઘરાટ અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે સ્વાગત પ્રવચન અને આભારવિધિ પ્રિયાંશુ રસ્તોગીએ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મમતા એચઆઈએમસીના વલસાડ જિલ્લાના કો-ઓર્ડિનેટર ઈમરાન કુરેશીએ કર્યું હતું.