(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: દાનહના રુદાના ગામે આવેલી સનલેન્ડ કંપનીમાં અંદાજે 400 જેટલી આદિવાસી મહિલાઓ કાર્ય કરે છે. જેમાંથી 100 જેટલી મહિલાઓ વિવિધ સમસ્યાઓને લઈને આદિવાસી કોંગ્રેસ નેતા શ્રી પ્રભુભાઈ ટોકીયાને મળી હતી. શ્રી પ્રભુભાઈ ટોકીયાએ મહિલાઓની સમસ્યાઓ સાંભળી હતી અને લેબર ઓફિસર, લેબર કમિશ્નરને મળીને દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જણાવ્યું હતું.
શ્રી પ્રભુભાઈ ટોકિયાએ ખાનવેલના મામલતદારશ્રીને પણ રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, મહિલાઓની સમસ્યાઓનું સમાધાન નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં કંપનીનો ઘેરાવો કરવામાં આવશે. આ વાતને ધ્યાનમાં લઈને મામલતદારશ્રીએ તમામ મહિલાઓને કચેરીએ બોલાવીને આર.ડી.સી. સમક્ષ રજૂઆત કરવા માટે જણાવ્યું હતું. તેથી આદિવાસી કોંગ્રેસ નેતા શ્રી પ્રભુભાઈ ટોકીયાના નેતૃત્વમાં લગભગ 200 જેટલી મહિલાઓ ભેગી થઈને ખાનવેલ સચિવાલય પહોંચીને આર.ડી.સી. સમક્ષ વિસ્તારપૂર્વક સમસ્યા વર્ણવી આવેદનપત્ર આપ્યું હતું. જેમાંઆર.ડી.સી.એ તમામ સમસ્યાને ધ્યાનપૂર્વક સાંભળી અને તાત્કાલિક લેબર ઓફિસરને સૂચના આપીને સેલવાસ કલેક્ટર ઓફિસમાં લેબર ઓફિસર, કંપની મેનેજમેન્ટને મહિલાઓને કનડતી તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે જણાવ્યું હતં.
પ્રશાસન દ્વારા મહિલાઓની સમસ્યા સાંભળવા બાબતે આદિવાસી કોંગ્રેસ નેતા શ્રી પ્રભુભાઈ ટોકીયાએ જણાવ્યું હતું કે, મને આશા છે કે મારી આ બહેનોને જરૂરથી ન્યાય મળશે. અને જો ન્યાય મળવામાં વિલંબ થશે તો આવનારા સમયમાં મોરચો કાઢીને લડત આપવામાં પણ પાછીપાની કરવામાં આવશે નહીં.
આ અવસરે આદિવાસી એકતા પરિષદના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.