વાપી રેલ્વે યાર્ડમાં ટ્રસ્ટ દ્વારા કોરોના કાળથી આજપર્યન્ત દરરોજ સવાર, સાંજ 500 ઉપરાંત દરિદ્રનારાયણને ભોજન આપવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે 4 ફેબ્રુઆરીને શનિવારના રોજ રાત્રીના 9 કલાકે લોકડાયરાનું આયોજન થયું હતું. વાપી ખાતે દરરોજ ભૂખ્યાને બે ટંકનું ભોજન કરાવતી સંસ્થા ‘‘મા જનમ ટ્રસ્ટ” તથા વિવિધ સેવાઓના પ્રકલ્પો ચલાવી ગરીબ આદિવાસી પરિવારના ઉત્થાન કરતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના લાભાર્થે આયોજિત આ લોકડાયરામાં આંતરરાષ્ટ્રીય લોક ડાયરા કલાકાર ગીતા રબારી અને લોક ગાયક તેજદાન ગઢવી અને હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા અને તેમની ટીમ લોકસાહિત્ય ગીતો તથા ભજન અને દુહા ચોપાઈની રમઝટ બોલાવી સામો બાધ્યો હતો.
ડાયરાની શરૂઆતમાં શ્રી સ્વામિનારાયણ પ્રિ-પ્રાયમરી સ્કૂલની વિદ્યાર્થી કશ્વી પટેલ નાની ગીતા રબારીની ઝાંખી કરાવતાં ખુદ લોક ગાયિકા પણ પ્રભાવિત થયા હતા. પૂજ્ય કપિલ સ્વામીજીએ સ્વાગત પ્રવચન કરી ત્રણેય કલાકાર અને તેમની ટીમનુ ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યું હતું. લોક ગાયક તેજદાન ગઢવીએ ડાયરાની શરૂઆત કરી આગવી શૈલીમાં ભક્તિ સંગીતનાગીતો રજૂ કર્યા હતા. નવા જ ઢાળમાં હનુમાન ચાલીસા થકી રમઝટ જમાવી હતી. તે પછી સુખદેવ ધામેલીયાએ મર્મ અને ખડખડાટ હાસ્યની છોડ ઉડાવી હતી. લોક ગાયિકા ગીતા રબારીએ આલાપ સાથે જ સામો બાધ્યો હતો. રસીક દાતાઓ ઘોર ચઢાવી પરંપરાગત ડાયરા સંસ્કળતિને આગળ ધપાવી હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા તથા સંઘ પ્રદેશ સહિત મોટી સંખ્યામાં રસિકો ઉપસ્થિત રહ્યા હતાં.
વાપી રેલ્વે સ્ટેશન નજીક છેલ્લા કેટલાક વર્ષથી ‘‘મા જનમ ટ્રસ્ટ” ના માધ્યમથી દરરોજ બપોરે તથા રાત્રે બે સમયે વિના મુલ્યે ભરપેટ ભોજન વિતરણ કરવામાં આવે છે. આ ભોજનનો દરરોજ અંદાજે 700 લોકો લાભ લે છે. આ ભગીરથ કાર્યને કાયમ રાખવા માટે આર્થિક ભંડોળ ઉભું કરવા માટે આર્થિક ભંડોળ માટે તથા ગરીબ આદિવાસી પરિવાર માટે વિવિધ પ્રકલ્પો ચલાવી રહી હોય તે અવિરત રાખવા આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય આ ડાયરામાં ઉપસ્થિત રહી સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી જેને દાતાઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો.