(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના મલિયાધરામાંતાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મલિયાઘરાના શિવસદન હોલમાં પશુ પાલન વિભાગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચીખલી તથા તાલુકાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન, તાલુકા સભ્ય દક્ષાબેન, રમીલાબેન, સરપંચ રેખાબેન, તેજલાવના અગ્રણી પ્રવીણભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં પશુપાલકોને સંબોધતા ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુઓનું આપણા જીવનમાં મહત્વનું યોગદાન છે. પશુઓથી પ્રકૃતિને પણ લાભ થાય છે. આજે પશુપાલનના વ્યવસાય થકી અનેક પરિવારોને ઘર આંગણે રોજગારી મળી રહી છે. ત્યારે પશુઓની યોગ્ય માવજત પણ જરૂરી છે.
વધુમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલે પશુપાલન આધારિત ખેતી કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ કરી પ્રાકળતિક ખેતીમાં ઉત્પાદિત ધાન્ય શાકભાજી, ફળ લોકો ઘરે લેવા આવશે. ડાંગ જિલ્લામાં પ્રાકળતિક ખેતી થઈ રહી છે. આજે બજારમાં ડાંગની બ્રાન્ડ શરૂ થઈ ગઈ છે. વધુમાં તેમણે જમીનના 7-12 નાઉતારામાં હયાતીમાં નામ દાખલ કરાવી બ્લોક વિભાજનથી બ્લોક નંબર અલગ કરાવવાથી પશુ અને ખેતી માટે સરકાર દ્વારા મળતી ઝીરો ટકાની લોનમાં પણ લાભ થતો હોય છે.
શિબિરમાં વેટરનીરી પોલીક્લિનિકના નાયબ પશુપાલન નિયામક ડો.ડી.બી.ઠાકોર ઉપરાંત ડો.જે.પી. વસાવા, ડો.વી.બી. ઓઝા સહિતના તજજ્ઞો દ્વારા પશુઓની બીમારીના સમયે, ગાભણ અવસ્થામાં, વિયાણ બાદ કેવી રીતે કાળજી લેવાની અને પશુઓની માવજત, સંવધર્ન પર વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી. શિબિરમાં મોટી સંખ્યામાં પશુ પાલકો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરને સફળ બનાવવા તાલુકાના પશુ ચિકિત્સક અધિકારી ડો.કે.ડી. પટેલ પશુધન નિરીક્ષક ઉમેદભાઈ ભુસારા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.