શહેર-ગામડાંમાંભરાતા હાટ બજારો તથા જાહેર સ્થળોએ આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત રોગથી બચવાના સૂચવાતા ઉપાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07: દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જાગૃતતા અભિયાન અંતર્ગત સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત ‘આઈયે કુષ્ઠ રોગ સે લડે, ઓર કુષ્ઠ રોગ કો એક ઇતિહાસ બનાયે’ના સૂત્ર સાથે ઉમરકૂઇ પટેલપાડા સરકારી શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત રોગ સંબંધીત જાણકારી આપવામાં આવી હતી અને સાથે ચિત્રકલા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્રકલા સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ-દમણ-દીવમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શહીદ દિવસના અવસરે સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત રોગ અંગે જાગૃતિ અભિયાન ગત 30જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અગામી 13ફેબ્રુઆરી,2023 સુધી ચાલશે. કુષ્ઠ રોગ જાગૃતિ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના તમામ જિલ્લાના ગામોમાં સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત ઉન્મૂલનના માટે જન જાગૃતતા અને જન ભાગીદારીને લઈ વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં સવારે ભરાતા હાટ બજારમાં સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત રોગની જાણકારી બાબતે સભા કરી અને પેમ્ફલેટનું વિતરણ કરી લોકોને સ્પર્શેન્દ્રિયરક્તપિત્ત રોગથી બચવા અવગત કરવામાં આવી રહ્યા છે. સાથે સંધ્યા સભાનું પણ આયોજન દરેક ગામોમાં કરવામા આવે છે. આ અભિયાન દરમ્યાન ગામોની સરકારી શાળાઓમાં વિવિધ પ્રકારની સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્શેન્દ્રિય રક્તપિત્ત રોગ અંગે જાણકારી આપવામાં આવે છે. પંદર દિવસીય અભિયાનમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.