(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.07 : દમણ ખાતેના ડાયટ ભવનના શિક્ષણ સદનના સભાખંડમાં દમણ જિલ્લાના શિક્ષકો માટે તા.6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ક્રિયાત્મક સંશોધન અંતર્ગત પ્રશિક્ષણ સહ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ જિલ્લાના 20 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ જિલ્લાના શિક્ષકો માટે પ્રશિક્ષણ સહ કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે તાલીમ કાર્યક્રમ અને વર્કશોપનો આરંભ દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડાયટના આચાર્ય શ્રી આઈ.વી.પટેલ, સીનિયર લેક્ચરર શ્રી બી.પી.ચૌધરી, પ્રધ્યાપિકા ડો. નમ્રતાકુલકર્ણી, શ્રીમતી પપ્પી પાટિલ, શ્રીમતી અશ્વિની જાધવ અને બી.આર.સી.સી. શ્રીમતી ભાવિની દેસાઈ અને તેમની ટીમ હાજર રહ્યા હતા.
આ અવસરે બી.આર.સી.સી. શ્રી ભાવીનીબેને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. સીનિયર લેક્ચરર શ્રી બી.પી.ચૌધરીએ ક્રિયાત્મક સંશોધન વિશે ઉપસ્થિત શિક્ષકોને અવગત કરાવ્યા હતા તથા શ્રીમતી અશ્વિની જાધવે વર્ગખંડની વિવિધ સમસ્યા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે શ્રીમતી પપ્પી પાટીલે ક્રિયાત્મક અનુસંધાનનાં બધા જ પાસાઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી અને વિષય મુજબ શિક્ષકોનાં ભાષા, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગણિત – વિજ્ઞાનના ચાર જૂથ બનાવીને સમસ્યા વિશે ચર્ચા કરી ક્રિયાત્મક અનુસંધાનને તૈયાર કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બીજા દિવસે પ્રાધ્યાપિકા ડો. નમ્રતા કુલકર્ણીએ રેટિંગ સ્કેલ અને પ્રશ્નોતરીના વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું જેથી તમામ શિક્ષકો શાળામાં જઈને શિક્ષણકાર્યમાં આવતી મુશ્કેલી ઉપર ક્રિયાત્મક સંશોધન કરશે અને તૈયાર થયેલ અનુસંધાન ડાયટને જમા કરાવશે.