-
દમણમાં રમાબાઈ આંબેડકર, રાજમાતા જીજાઉ, ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેનો ભવ્ય સંયુક્ત જયંતિ મહોત્સવ સમારંભ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07: નાની દમણના મશાલચોકની બાજુમાં આવેલ ભગવાન ગેરેજના વિશાળ કેમ્પસમાં આજે દમણ, વાપીની રમાઈ મહિલા બ્રિગેડ તથા સમ્રાટ અશોક સંગઠન સહિત દમણ, વાપી, સેલવાસના વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ત્યાગમૂર્તિ માતોશ્રી રમાબાઈ આંબેડકર, રાજમાતા જીજાઉ, ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેના ભવ્ય સંયુક્ત જયંતિ મહોત્સવના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુ.જાતિ, જનજાતિ, ઓબીસી સહિત લઘુમતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં ભગવાન ગૌતમ બુદ્ધની પ્રાર્થના અને ભીમ વંદના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમાજના વિકાસમાટે શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણના ક્ષેત્રે થયેલી પ્રગતિનો લાભ ઉઠાવવા હાકલ કરી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, આ વર્ષે એક દિકરીને એમ.બી.બી.એસ.માં પ્રવેશ મળ્યો છે. આ પ્રમાણ વધારવા પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ નોકરી માંગનારા નહીં પરંતુ નોકરીદાતા બનવા આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષોથી ગેરેજનું સફળતાપૂર્વક સંચાલન કરી રહેલા શ્રી ભગવાનભાઈનું પણ દૃષ્ટાંત આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પોતાના ધંધા-રોજગાર શરૂ કરવા માટે અનેક પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. જેનો લાભ ઉઠાવવા જણાવ્યું હતું. આ મુદ્દે જો કોઈ મૂંઝવણ હોય તો માર્ગદર્શન માટે સરપંચશ્રીનો દમણવાડા ગ્રામ પંચાયત ખાતે સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે છેલ્લા 35 કરતા વધુ વર્ષોથી સેવાના ભેખધારી વાપીના શ્રી ભીમરાવ કટકે અને તેમના ધર્મપત્ની વાપી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શ્રીમતી લોચનાબેન કટકેનું સમાજભૂષણ પુરસ્કારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. શ્રી ભીમરાવ કટકેએ આંબેડકરવાદી ચળવળને શરૂ કરવા અને અત્યાર સુધી જીવંત રાખવા વેઠેલી તકલીફનો પણચિતાર આપ્યો હતો. તેમની ચળવળને તેમના ધર્મપત્ની શ્રીમતી લોચનાબેન કટકેનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.
આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન શ્રી રાવજીભાઈ પટેલ પોતાના ધર્મપત્ની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં બાળાઓએ ત્યાગમૂર્તિ માતોશ્રી રમાબાઈ આંબેડકરના જીવન-કવનને વણી લેતી કૃતિ ખુબ જ ઉત્સાહ અને જુસ્સાપૂર્વક રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં રમાઈ મહિલા બ્રિગેડ દમણ, દાદરા નગર હવેલી, વાપી તથા સમ્રાટ અશોક બહુઉદ્દેશીય સંગઠન, દમણના કાર્યકર્તાઓએ તનતોડ પ્રયાસ કર્યો હતો.