(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા.08: છેલ્લા દશ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવ્યા છે. ત્યારે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (યુ.આઈ.ડી.એ.આઈ), ભારત સરકારની તા.19-09-2022ની યાદી મુજબ જે રહેવાસીઓએ 10 વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ ડેમોગ્રાફિક (ઓળખ અને રહેઠાણના પુરાવા) આધાર અપડેશનમાં આવ્યા ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેતા રહેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથેઆધાર અપડેટ કરાવી લેવું. આધાર અપડેટ કરાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ.50/- નો દર નક્કી કરવામાં આવ્યો છે. આધાર અપડેટ કરાવવા માટે જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. એમ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.