-
ખાનવેલ વિસ્તારમાં જંગલની જમીન ઉપર રહેતા આદિવાસી પરિવારો પ્લોટ પર વનવિભાગે પ્લાન્ટેશનની શરૂ કરેલી પ્રક્રિયાના વિરોધમાં આદિવાસી સમાજે કાઢેલી રેલી
-
વનવિભાગની કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજે ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર પાઠવી ઠાલવેલો આક્રોશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નટવર્ક) સેલવાસ,તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ પર વનવિભાગે પ્લાન્ટેશન પ્રક્રિયા હાથ ધરતા આદિવાસી જંગલ જન જીવન આંદોલનના નેજા હેઠળ આદિવાસી સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
દાદરા નગર હવેલી વનવિભાગે આદિવાસીઓને ફાળવેલ પ્લોટ પરથી તેમની હકાલપટ્ટી કરી ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદી વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંગે મંગળવારે ખાનવેલ ક્ષેત્રના દુધની પટેલાદ, માંદોની પટેલાદના આદિવાસી ભાઈ-બહેનોએ આદિવાસી જંગલ વન જીવન આંદોલનના નેજા હેઠળ વિવિધ સંગઠનોને એકત્ર કરી વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.
વનવિભાગની કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજે ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી આક્રોશ ઠાલવતી રજુઆત કરી હતી કે, તેમને વર્ષો પહેલા સરકારે જંગલની જમીનમાં વસવાટ કરી ગુજરાન ચલાવવા માટે આ પ્લોટ ફાળવેલા છે. જેમના પર તેમનો હક છે. આ મેટર મામલે 2018માં આદિવાસી સમાજે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અને 2019માં તે અંગે ચુકાદો આવ્યા બાદ હજુ પણ આખી મેટર પેન્ડિંગ છે. જો કે તે બાદ તેનુંઉલ્લંઘન કરી વનવિભાગ આદિવાસીઓની હકાલપટ્ટી કરી પ્લોટ ખાલી કરાવી રહ્યા છે. અને તેવા પ્લોટમાં ખાડા ખોદી વૃક્ષા રોપણની કામગીરી હાથ ધરી છે. જે કામગીરી કોર્ટના આદેશનો ભંગ કરે છે.
આ મામલે આખી મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. અને વચગાળાના ચુકાદા મુજબ આદિવાસી સમાજ પાસેથી તેને ફાળવેલ પ્લોટનો કબજો જ્યાં સુધી નવો ચુકાદોના આવે ત્યાં સુધી લઈ શકશે નહીં. હાલ આ મામલે મંગળવારે આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં આંદોલન કરી રેલી સ્વરૂપે એકત્ર થઈ વન વિભાગને રજુઆત કરી હતી.