(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17: સેલવાસની લાયન્સ અંગ્રેજી માધ્યમ શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનો ક્રાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભાપતિ શ્રી ફત્તેહસિંહ ચૌહાણે દીપ પ્રજ્વલિત કરીને કરી હતી.
આ પ્રસંગે ધોરણ 11ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ગીત, નૃત્ય, નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને બાળકોને ખૂબ ઉત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધોરણ 12ની વિજેતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને માસ્ટર લાયનાઇટ્સ અને મીસ લાયનાઇટ્સના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ શાળા સમયના તેમના અનુભવોવિશે મંતવ્ય રજૂ કર્યા હતા અને તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે શાળાના આચાર્યશ્રીએ બાળકોને સુખી ભવિષ્ય માટે ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે સભાપતિ અને ઉપ સભાપતિ શ્રી એ.ડી. નિકમે પણ પોતાના વક્તવ્યમાં બાળકોને વધુમાં વધુ ભણી માતા-પિતા, શાળા, પ્રદેશ તથા દેશની પ્રગતિ માટે શિક્ષણ કેટલું મહત્વ છે તે બાબતે વિસ્તારથી સમજ આપી હતી, અને તેઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ શાળા છોડયાનું દુઃખ-દર્દ અને આગળના ભણતર અંગેનું માર્ગદર્શન મેળવી શાળામાંથી વિદાય લીધી હતી. આ અવસરે સંયુક્ત સચિવ શ્રી જયેન્દ્રસિંહ રાઠોડ, શાળાના ટ્રસ્ટીગણ, શાળાના આચાર્યશ્રી એ. ફાન્સિસ, ઉપ આચાર્યા શ્રીમતી નિરાલી પારેખ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ, કોલેજ ઑફ કૉમર્સ ઍન્ડ સાયન્સના ઉપ આચાર્યા, વિભાગના અધ્યક્ષ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.