(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના તલાવચોરામાં લગ્નના ચાર દિવસ પૂર્વે 22-વર્ષીય યુવતીની તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવવાના બનાવમાં પોલીસ સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ કરી રહી છે. જોકે તપાસનો મુખ્ય મદાર યુવતીનો મોબાઈલ ફોન અને પીએમ રિપોર્ટ પર રહેશે.
પ્રાપ્ત વિગત મુજબ તલાવચોરા ગામના રાજા ફળીયાની પ્રિયંકાબેન ધીરૂભાઈ આહીર (ઉ.વ-22) ના લગ્ન આગામી 23-મી ના રોજ ધરમપુરના ભાભા ગામના યુવક સાથે યોજાનાર હતા. આ પૂર્વે રવિવારના પ્રિયંકાબેનની લાશ તેની ઘરની પાછળ આવેલ તળાવના પાણીમાંથી મળી આવી હતી. અને તેણીનો મોબાઈલ ફોન પણ પાણીમાંથી મળી આવ્યો હતો. જોકે મોબાઈલ ફોન ફોરમેટ કરી દેવાતા પ્રાથમિક તપાસમાં પોલીસને કંઈ હાથ લાગ્યું ન હતું. બીજી તરફ આ યુવતીના મોત પાછળ અનેક રહસ્યો વચ્ચે પોલીસે અત્યાર સુધીમાં પરિવારના સભ્યો સહિત સાતેક જેટલાના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. જોકે તપાસનો મુખ્ય મદાર તો મોબાઈલ ફોન અને પીએમ રિપોર્ટ જ રહેશે. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ઉડાવી દેવામાં આવેલા હોય તેવામાં આ ડેટા ખેરખરકોણે ડીલીટ કર્યા હશે? યુવતીએ આ અંતિમ પગલંું જાતે ભયું હશે કે પછી કોઈકે તેને આ માટે લાચાર કરી હશે કે પછી આ બનાવના સમયે તેની સાથે કોઈ હોય અને તેણે પાણીમાં ધક્કો માર્યો હોય તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
પોલીસ દ્વારા મોબાઈલ કબ્જે લઈ સાઈબર શાખામાં ડેટા રિકવર કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે ડેટા રિકવર થશે તો છેલ્લે આ યુવતી સાથે કોણ સંપર્કમાં હતું તે અને લોકેશન સહિતની વિગતો બહાર આવશે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ આ યુવતીના મોત પાછળના રહસ્યો ખુલે તેમ જણાઈ રહ્યું છે. ત્યારે આ અંગે પોલીસ ગંભીરતા દાખવી તટસ્થ તપાસ કરી સાચી હકીકત બહાર લાવે તે જરૂરી છે.