(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ 18-પૈકી 11 વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી.
જોકે હજુપણ સાત જેટલી વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ રાખવામાં આવી હતી. મંગળવારના રોજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છાત્રાલયના રસોડા ભંડારમાંથી અનાજ-કઠોળના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ચીખલી તાલુકાના વાંઝણા ગામે ગામતળ વિસ્તારમાં સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની છાત્રાલયમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી ગણદેવી, ધરમપુર, વાંસદા અને ચીખલી તાલુકાની વિદ્યાર્થીનીઓ નિવાસ કરે છે. આ વિદ્યાર્થીનીઓને સોમવારના રોજ સવારે દૂધ અને નાસ્તો આપવામાં આવ્યો હતો. બાદમાં શાળા શરૂ થવાના સમયે દાળ ભાત, રોટલી અને લીલી તુવેરનું શાક પીરસાયું હતું. જ્યારે બપોરે મધ્યાહન ભોજનમાં ખીચડી સને સુખડી જ્યારે સાંજે નાસ્તામાં ફરી સુખડી તો રાત્રે જમવામાં ચણાની દાળનું શાક, જુવારના રોટલા અને ખીચડી આપવામાં આવી હતી.
આ દરમ્યાન રાત્રીના સમયે વિદ્યાર્થીઓને ઉબકા આવવાનું શરૂ થતાંઅને તેમાં વધારો થતાં ખાનગી વાહનો મારફતે ટાંકલ આરોગ્ય કેન્દ્રમાં તમામ 50-જેટલી વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડાઈ હતી. જેમાં 32-વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે 18-જેટલી વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે દાખલ કરાઈ હતી. જોકે બીજા દિવસે મંગળવારના રોજ 11 જેટલી વિદ્યાર્થીનીઓને રજા આપી દેવાતા વાલીઓ ઘરે લઈ ગયા હતા. જોકે સાત જેટલી વિદ્યાર્થીનીઓ બીજા દિવસે પણ ઓબ્ઝર્વેશન હેઠળ આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવી હતી. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છાત્રાલયના અનાજ ભંડારમાંથી અનાજ, કઠોળ સહિતનાના સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઈ હતી.