(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના દપાડા ગામમા રહેતો યુવાન થોડા દિવસ અગાઉ કોઈક કારણસર ગુમ થયો હતો. જે સંદર્ભે એમના પરિવારના સભ્યોએ એમના પુત્રનુ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી સાથે એસપીને પણ આ સંદર્ભે લેખિત રજૂઆત કરી હતી. છતાં પણ યુવાનનો પતો ના લાગ્યો હતો. ગુરુવારના રોજ સાંજે આ યુવાનની લાશ ખડોલી ગામેથી મળતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દપાડા ગામે રહેતા દિલીપ જાનીયા ધોડિયા જે એક મહિના પૂર્વે ગુમ થયો હતો. ગુમ થનાર યુવક એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેના અંગે પરિવારના સભ્યોએ રખોલી પોલીસ સ્ટેશનમા ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી. એક અઠવાડિયા સુધી કોઈપણ પતો ના લાગતા પરિવારના સભ્યોએ એસપીને મળી એમના પુત્રનું અપહરણ થયું હોવાની લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુમ થયાના એક મહિના બાદ ખડોલી ખાતેથી દિલીપની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ખાનવેલ પોલીસ અને સેલવાસ પોલીસની ટીમ પહોંચી હતી અને લાશનો કબજો લઈને પી.એમ માટે મોકલી આપી હતી. યુવાનની હત્યા થઈ છે કે કુદરતી રીતે મૃત્યુ થયું છે તથા એક મહિનાથીયુવાન કયાં હતો? વગેરે ચર્ચાઓ પંથકમાં થઈ રહી છે. યુવાનનું મૃત્યુ કેવી રીતે થયું છે એ એ પી.એમ રિપોર્ટ આવે પછી જ બહાર આવશે. આ મામલે દાનહ પોલીસ બધી જ શકયતાને ધ્યાનમાં લઈને તપાસ કરી રહી છે.