(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: ભીલાડમાં આવેલ કાલિન્દી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્રાઈટ ફયુચર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં તા.25/02/2023, શનિવારના રોજ શાનદાર વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સરીગામ ખાતે આવેલ અરિહંતનમ લાઈફકેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર શ્રીમાન આર.કે. સિંગ, ભીલાડના નામાંકિત ડૉ.કમલેશ બી. ભાવસાર, ઉમરગામના જાણીતા સામાજીક કાર્યકર્તા શ્રી મનિષભાઈ સોનપાલ, સહકાર વિદ્યાલય વડોદરાના ફૂહૃ.પ્રિન્સિપાલ શ્રી ભાસ્કરભાઈ જી. ભાવસાર, વડોદરાની અરુણ બ્રિકસનાં સંચાલક શ્રી અરૂણભાઈ પ્રજાપતિ તથા ભીલાડના જાણીતા પેથોલોજીસ્ટ ડૉ.મહેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિએ ઉત્સવની શોભા વધારી હતી. શાળાના ડાયરેક્ટર શ્રી ધ્રુવેશભાઈ ભાવસાર તથા વિમલભાઈ પ્રજાપતિએ પધારેલ મહેમાનોનું તથા કાલિન્દી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન કમલેશકુમાર ભાવસાર, ધારાબેન ભાવસાર, જ્યોતિબેન ભાવસાર, ધ્રુવલભાઈ ભાવસાર તથા રુચિતાબેન ભાવસારનું ભાવથી સન્માન કર્યું હતું. શ્રીમાન આર. કે. સિંગ, શ્રીમાન મનીષભાઈ સોનપાલ તથા શ્રીમાન ભાસ્કરભાઈ ભાવસારે શાળાએ થોડા સમયમાં સાંધેલી પ્રગતિ તથા શાળાનાશિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મેનેજમેન્ટની મહેનતને તેમના શબ્દોથી બિરદાવી હતી. શાળાના નાના-નાના ભૂલકાઓએ કાર્યક્રમ ‘‘સ્ટેજીસ ઓફ લાઈફ”માં જીવનના મુખ્ય તબક્કાઓ જેમ કે બાળપણ, શાળાનું જીવન, કોલેજ લાઈફ, કોર્પોરેટ લાઇફ તેમજ વૃદ્ધ અવસ્થાને દર્શાવતા જુદાં જુદાં ડાન્સ તથા ડ્રામાની પ્રસ્તુતિથી ઉપસ્થિત વાલીગણ તથા મહેમાનોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. વધુમાં મોબાઈલ ટેકનોલોજીનો આપણે કયારે, કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો એ પણ મોબાઈલ એડિકશનની થીમ દ્વારા સમજાવ્યું હતું. તેમજ શિક્ષણ ક્ષેત્રમાં કોરોનાની થયેલ અસર દર્શાવતું એક સરસ મજાનું નાટક ધો-1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ કરાટેની જુદી જુદી ટેકનિક પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યાર બાદશાળાના ડિરેક્ટર શ્રી ધ્રુવેશભાઈ ભાવસાર તથા વિમલભાઈ પ્રજાપતિ સાહેબે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ મહેમાનો, શાળા પરિવારનાં વિદ્યાર્થીઓનો, શિક્ષકગણનો તેમજ વાલી મિત્રોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી અંતે રાષ્ટ્રીય ગીતના ગાન બાદ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.