જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઈએઃ કલેકટર અમિત પ્રકાશ યાદવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.28: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાંભેર ગામે કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઈ હતી. સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ છેવાડાનાં લોકો સુધી પહોંચે તથા ગામનાં પ્રશ્નોનું સ્થળ પરજ નિરાકરણ થાય તે માટે રાત્રિ સભા યોજવામાં આવે છે.
ગ્રામજનોને કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ. યોજનાઓની માહિતી આપવા અનેગામના પ્રશ્નોનુ સ્થળ પર જ નિરાકરણ લાવવા સરકાર વતી જિલ્લાના અધિકારીશ્રીઓ તમારા ગામ આંગણે આવ્યા છીએ.
કલેકટરશ્રી સમક્ષ ગ્રામજનોએ રસ્તાના પ્રશ્નો, વીજળીની સમસ્યા, પુલ બનાવવા, બસની સુવિધા વધારવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતાં. ગામ લોકોના પ્રશ્નોનું તત્કાલ નિવારણ લાવવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.
પ્રાંત અધિકારી શ્રી આર.આર.બોરડે રાત્રિ સભાનો ઉદ્દેશ્ય સમજાવતા કહ્યું હતું કે, જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ગામડે આવીને ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય અને ગ્રામજનોએ તાલુકા મથક કે જિલ્લા મથક સુધી જવું ન પડે.
રાત્રિ સભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ. ગઢવી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગામલોકો જોડાયા હતા.