(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા દાનહના પોલીસ વિભાગ માટે ભારતીય સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે સેલવાસના સરકિટ હાઉસ ખાતે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના મદદનીશ પ્રોફેસર શ્રી અંકુર શર્મા અને શ્રી અપૂર્વ માથુર દ્વારા દરેક પોલીસ જવાનોને ભારત સરકારે પસાર કરેલા નવા કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે દાનહના ડી.વાય.એસ.પી. શ્રી એન. એલ. રોહિત, પ્રોફેસરો સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, દેશમાં અંગ્રેજોના શાસનકાળના ફોજદારી કાયદાઓનું સ્થાન લેનારા ત્રણ સુધારા બિલોને ડિસેમ્બર મહિનામાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દ્વારા મંજૂરી આપવામાં આવીહતી. ત્રણેય નવા કાયદા હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ તરીકે ઓળખાશે. જે ક્રમમઃ ભારતીય દંડ સહિત (1860), ફોજદારી પ્રક્રિયા સંહિતા (1898) અને ભારતીય પુરાવા અધિનિયમ (1872)નું સ્થાન લેશે. આ કાયદાઓનો હેતુ ગુનાઓ અને તેની સજાને વ્યાખ્યાયિત કરીને ફોજદારી કાયદો વ્યવસ્થાને પૂર્ણ રીતે બદલવાનો છે. હવે ભારતમાં લાગૂ કોઈ પણ કાયદા અંતર્ગત જવાબદાર કોઈપણ વ્યક્તિ પર ભારતની બહાર કરવામાં આવેલા કોઈ પણ ગુના માટે આ કાયદા હેઠળની જોગવાઈઓ મુજબ કેસ ચલાવવામાં આવશે.