કંપનીનો સ્લેબ અને દિવાલના કાટમાળમાં દબાતા ચારના મોત બે ને ગંભીર ઈજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોનમાં કાર્યરત વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં થયેલા પ્રચંડ ધડાકાના કારણે કંપનીનો બે માળનો આરસીસી સ્લેબ અને દિવાલ ધારાસયી થતા કંપનીમાં હાજર ચાર કર્મચારીના કાટમાળ નીચે દબાઈ જતાં કરુણ મોત થવા પામ્યું છે. તેમજ આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં થયેલા પ્રચંડ ધડાકાની તીવ્રતાના કારણે સરીગામ તેમજ આજુબાજુના ધરતીકંપ જેવો અનુભવ કરાવ્યો હતો.
ઘટના ગતરાત્રિના 11.25 કલાકે બનવા પામી હતી. કંપનીના સ્ટોર રૂમમાંથી લિક્વિડ જેવો પદાર્થ બહાર નીકળી રહ્યો હોવાનું સિકયુરિટીને નજરે આવતા વિકલી ઓફ હોવા છતાં કંપનીના જવાબદાર કર્મચારીઓને જાણ થતા કંપનીની વિઝીટે આવવા પડ્યું હતું. જેમાં કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ પરાગજી સરવૈયા ઉંમર વર્ષ 43, પ્રોડક્શન અને ટેકનિકલ મેનેજર કિર્તીભાઈ પટેલ ઉંમર વર્ષ 58, સિકયુરિટી પ્રતાપભાઈ વિષ્ણુભાઈ વાઘઢોલીયા ઉંમર વર્ષ 32 અને વિકેશભાઈ એમ ધોડી ઉંમરવર્ષ 35 સ્ટોર રૂમની નજીક પહોંચતા લિક્વિડ જેવા બહાર નીકળી રહેલા પદાર્થના સ્થળે પ્રચંડ ધડાકો થવા પામ્યો હતો. અને આ ધડાકાના કારણે કંપનીના બે સ્લેબ અને દિવાલ ધારાસયી થતા આ ચારે કર્મચારીઓ કાટમાળ નીચે દબાઈ જવા પામ્યા હતા. ઘટના સ્થળે ઘસી આવેલી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તંત્રએ બચાવ કામગીરીનો મોરચો સંભાળ્યો હતો. પરંતુ કંપની અને કંપની સુધી પહોંચવા રોડ ઉપર મોકળાશના અભાવે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ સર્જાવા પામી હતી. કાટમાળ નીચે દબાયેલા કર્મચારીઓમાંથી ત્રણ વ્યક્તિને ચારથી પાંચ કલાકના વિલંબ બાદ મૃત હાલતમાં બહાર કાઢયા હતા. હજુ એક વ્યક્તિને બીજા દિવસના રાત્રિના દસ કલાક આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં બહાર કાઢવામાં સફળતા મળી નથી. કાટમાળ નીચે દબાયેલા ત્રણ કર્મચારીમાંથી બેની ઓળખ થઈ જવા પામી છે.
આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા મોન્ટુ કાંતિલાલ પટેલ રહે. ફણસા અને પ્રદીપ દીનાનાથ યાદવ રહે. સરીગામ પાગીપાડા બંનેને સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિકલી ઓફ ના કારણે બંધ ફેક્ટરીમાં સ્ટોર રૂમમાં થયેલા પ્રચંડ ધડાકાનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કંપનીમાં વિસ્ફોટ થાયએવું મટેરીઅલ સંગ્રહ કરાયેલું હતું અથવા સેન્ટી ફયુઝમાં ખામી સર્જાઈ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. કંપની પ્રોડક્ટ બનાવવામાં બ્રોજીન વોટર જેવું ખતરનાક કેમિકલનો ઉપયોગ કરતા હોવાનું પણ અંદાજવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્ટોર ઉપર છત હોય તો વિસ્ફોટક સામગ્રી વેન્ટિલેટર ન હોય એવી રૂમમાં સ્ટોર કરવાની પરવાનગી કેવી રીતે મળી શકે. તેમજ કંપનીમાં ચાલતી કામગીરી દરમિયાન યુટીલીટી અધિકારીની ઉપસ્થિતિ હતી કે કેમ એ પણ તપાસનો વિષય છે. કંપનીમાં થયેલા પ્રચંડ ધડાકામાં ચાર પરિવારે આધારસ્તંભ ગુમાવતા નિરાધાર બન્યો છે. હાલમાં ધડાકાનુ ચોક્કસ કારણ બહાર આવી રહ્યું નથી પરંતુ કંપનીની બેદરકારી અને લાપરવાહીનું પરિણામ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. ઘટનાની સત્યતા દરેક વિભાગના રિપોર્ટોની ચકાસણી બાદ બહાર આવશે.